Telangana Governor : તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પુડુચેરીના રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમણે આ કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ છોડવાની પણ માહિતી આપી હતી.
“તેલંગાણાના માનનીય રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર, ડૉ. તમિલિસાઈ સૌંદરરાજને તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું આપ્યું છે,” એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. “રાજીનામું ભારતના માનનીય રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું છે.”
નોંધનીય છે કે તમિલિસાઈ સુંદરરાજનને નવેમ્બર 2019માં તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમને ફેબ્રુઆરી 2021માં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
ચૂંટણી લડવાની અટકળો
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમિલિસાઈ સુંદરરાજન આ વખતે ભાજપની ટિકિટ પર તમિલનાડુથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ડીએમકે નેતા કનિમોઝી સામે પણ મેદાનમાં ઉતારી શકે છે. સુંદરરાજન 2019ની ચૂંટણી લડ્યા હતા. જોકે કનિમોઝી સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, 2009 માં, તે ચેન્નાઈ (ઉત્તર) બેઠક પરથી ઉમેદવાર હતી. જોકે, અહીં તેમને DMKના TKS Elangovan પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.