નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં પોતાના ફૂલ સ્પીડ પકડી છે અને રોજે રોજ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાનું સ્વરૂપ ડરામણું થઈ રહ્યું છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં 44 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે. એક્ટિવ કેસોમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલ આંકડો 3 લાખને પાર થઈ ગયો છે. વૈશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ પછી કોરોના કેસમાં ભારત ત્રીજા સ્થાને આવી ગયો છે.
દેશમાં કુલ 4 કરોડ 46 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,846 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 197 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,15,99,130 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 11 લાખ 30 હજાર 288 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 22,956 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,09,087 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,59,755 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 20 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 23,35,65,119 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 11,33,602 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો શનિવારે ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1565 કેસ નોંધાયા છે. જેની સામે 969 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4443 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા છે. અત્યાર સુધીમાં 28,36,204 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 5,92,712 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.