શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો આતંક ચરમસીમા ઉપર છે. અહીં છાસવારે ગોળીબારી થતી રહે છે. જેના કારણે સામાન્ય માણસો અને સૈનિકો જીવ ગુમાવે છે. ત્યારે બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓએ ફરીથી ગોળીબારી કરીને એક બીજેપી નેતાની હત્યા કરી દીધી હતી. પુલવામા જિલ્લામાં ત્રાલ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓએ ભાજપના એક કાઉન્સીલરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ હુમલો એ સમયે થયો જ્યારે કાઉન્સિલર પોતાના મિત્રના ઘરે હતા. પોલીસ પ્રવસ્તાના જણાવ્યા પ્રમાણે ત્રણ આતંવાદીના ગ્રૂપે આશરે 10.15 વાગ્યે રાકેશ પંડિત ઉપર ધડાધડ ગોળીઓ વરસાવી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં રાકેશના મિત્રની પુત્રી પણ ઘાયલ થઈ હતી. જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ, રાકેશ પંડિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેમને બે અંગત સુરક્ષાકર્મી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરીને તેઓ સુરક્ષાકર્મીઓ વગર જ દક્ષિણ કાશ્મીર સ્થિત પોતાના પૈતૃક ગામ ગયા હતા. પ્રવક્તાએ કહ્યું કે વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના બીજેપી પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, રાકેશ પંડિતાની શહાદતને અમે વ્યર્થ નહીં જવા દઈએ. કાશ્મીરમાં આતંકવાદીઓએ ખતમ કરવામાં આવશે. રૈનાએ તેને માનવતા અને કાશ્મીરિયતની હત્યા ગણાવી છે.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, હિંસાની આવી મૂર્ખતાપૂર્ણ ઘટનાઓએ કાશ્મીરને હંમેશા દુઃખ પહોંચાડ્યું છે.