નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસને લઈને ચિંતા વધી રહી છે ત્યારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIM)ના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં સપ્ટેમ્બર સુધી બાળકો માટે વેક્સીન આવી જશે.
ખાનગી ચેનલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતની વેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીને બીજા અને ત્રીજા ચરણનું ટ્રાયલના આંકડા સપ્ટેમ્બર સુધી આવી જશે. દેશમાં આ વેક્સીન બેથી 17 વર્ષની ઉંમરના બાળકો ઉપર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં ટ્રાયલના આંકડા આવ્યા બાદ આ મહિના સુધી મંજૂરી મળી જશે. આ સાથે જ ગુલેરિયાએ કહ્યું કે જો ફાઈઝર-બાયોનેટની વેક્સીનને મંજૂરી મળે છે તો આ બાળકો માટે એક વિકલ્પ હશે.
દિલ્હી એમ્સ સહિત દેશના અનેક રાજ્યોમાં બેથી 17 વર્ષના બાળકો ઉપર વેક્સીન ટ્રાયલ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસને લઈને ચિંતાઓ વધી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું કે આ ચિંતા વધારના વેરિયેન્ટ છે. આ વેરિએન્ટ અંગે વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સામે વેક્સીન અને નેચરલ એન્ટી બોડી પણ કામ નથી કરી રહ્યા.
ઉલ્લેખનીય છે કે ન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,848 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,358 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,00,28,709 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 28,87,66,201 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.