નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર અત્યારે વિવાદોમાં સપડાયેલી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહએ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની આ અરજી ફગાવી હતી. અને કેસ ગંભીર છે પરંતુ હાઇકોર્ટમાં જવા માટે સૂચન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માગ કરતી મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર બુધવારે સુનાવણી કરી હતી. વડી અદાલતમાં પરમબીર સિંહ તરફથી મુકુલ રોહતગી હાજર રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાની ગંભીરતા જાણીએ છીએ. આપ હાઈકોર્ટ શા માટે ન ગયા અને અનિલ દેશમુખને પક્ષકાર કેમ નથી બનાવ્યા ? તેના પર મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, અમે અનિલ દેશમુખને પક્ષકાર બનાવી લઈશું.
મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, આખી સરકાર પરમબિર વિરુદ્ધ લાગેલી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 2 વર્ષ પહેલા હટાવી શકો નહીં.સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આપ આ મામલે હાઈકોર્ટમાં જાવ. મામલો ગંભીર છે. પણ હાઈકોર્ટ કેમ ન ગયા. તે સ્પષ્ટ કરી દ્યો.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, સવાલ અહીં કોઈ રાજ્યનો નથી, પણ પ્રકાશ સિંહ પોલીસ રિફોર્મ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.કોર્ટે પરમવીર સિંહના વકીલને પૂછ્યુ કે, આપે સંબંધિત વિભાગને શા માટે પક્ષ નથી બનાવ્યો.બીજૂ કે, આપે અનુચ્છેદ 32 અંતર્ગત કેમ અરજી દાખલ કરી અને આપ અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટ કેમ ન ગયા.
આપ આપનો મોકો શા માટે છોડી રહ્યા છો. અમે વારંવાર કહી રહ્યા છીએ કે, મામલો ગંભીર છે, જેમાં આપ સીધી રીતે પ્રભાવિત છો. મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, અરજીમાં તમામ એવા પુરાવા આપ્યા છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને હાઈકોર્ટમાં મોકલી આપ્યો અને કહ્યુ કે, તેના પર હાઈકોર્ટ જલ્દીથી સુનાવણી કરે.