૧૧ મી એપ્રિલે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કસ્તુરબા ગાધીંની જન્મતિથીને ખરા અર્થમાં દેશની માતાઓને સમર્પિત કરવાના શુભ આશયથી વર્ષ ૨૦૦૩ માં સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૫ માં “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન”નો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવીને દેશમાંથી માતા મૃત્યુદર ઘટાડવા સંકલ્પ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કિશોરીઓ અને સગર્ભા બહેનોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને પૌષ્ટિક આહાર અને આરોગ્યપ્રદ સારસંભાળ મળી રહે તે માટેની કામગીરી હાથ ધરી છે.
રાજ્યની કિશોરીઓમાં આયર્ન તત્વની ઉણપ ના કારણે થતા એનિમિયાનું પ્રમાણ ઘટાડવા અને આવનાર સમયમાં માતૃત્વ ઘારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું સતત મોનીટરીંગ કરવા અને આયર્ન તત્વની ઊણપ દૂર કરવાના હેતુસર આયર્ન સુક્રોઝ ઇન્જેકશન આપવાની યોજના માટે વર્ષ 2022-23 ના અંદાજ પત્રમાં પણ આરોગ્ય વિભાગના બજેટમાં 5 કરોડના રકમની અલાયદી જોગવાઇ કરવામાં આવી છે.
સગર્ભા, ધાત્રી માતા અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષીત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા માટે રાજ્યના મહિલા અને બાળ વિભાગના બજેટમાં રૂ. 811 કરોડના રકમની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યમાંથી માતા મૃત્યુદર ઘટાડવાના સેવાયજ્ઞનામાં રાજ્યની સેવાભાવી સંસ્થાઓ પણ સ્વૈચ્છિક રીતે જોડાઇ છે.
અમદાવાદની સેવાભાવી સંસ્થા દ્વારા શહેરની ગરીબ કિશોરીઓની આરોગ્ય તપાસ કરીને એનિમિયામુક્ત બનાવવા અને માતા મૃત્યુદર ઘટાડવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
અમદાવાદ રોટરી ક્લબ –એરપોર્ટ અને ગાંધી આશ્રમમાં સેવાભાવી સંગઠન માનવ સાધના સાથે ગરીબ કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણની તપાસ કરવા પાયલટ પ્રોજેક્ટ તરીકે 300 જેટલી કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી. જેમાં કિશોરીઓના બ્લડ રીપોર્ટસ લેવામાં આવ્યા હતા. જેમાંથી 80 ટકા જેટલી કિશોરીઓમા હિમોગ્લોબીનનું પ્રમાણ જરૂરિયાત પ્રમાણે ઓછુ જોવા મળ્યું તેમજ એનમિયાના લક્ષણો પણ જોવા મળ્યા. આ સંસ્થા તરફથી એનિમિયા ગ્રસ્ત કિશોરીઓને 3 થી 6 મહિનાનાની દવાઓ પણ આપવામાં આવી છે.
આગામી સમયમાં પણ શહેર અને રાજ્યના વિવિધ વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ કરીને કિશોરીઓની આરોગ્યતપાસ કરીને એનિમિયામુક્ત બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ રોટરી ક્લબ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર ડ઼ૉ. અનિલ ખત્રીએ જણાવ્યું છે.