હિસાર: કોરોનાના કપરા સમયમાં કોરોના વોરિયર્સ રાત-દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે. પરંતુ કરુણતા એ છે કે કોરોના વોરિયર્સને પણ બેડ મળતા નથી અને તે મોતને ભેટે છે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર કરી રહેલી ટીમના ઇન્ચાર્જ તથા નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ પ્રવીણ કુમારને ત્રણ કલાક સુધી બેડ મળ્યો ન હતો. પ્રવીણ કુમાર કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા 300થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા હતા.
બીમાર પ્રવીણ કુમારને લઈ તેમનો પરિવાર ત્રણ કલાક સુધી એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટકતા રહ્યા. મેયરથી લઈને કમિશ્નર અને સીએમઓ સુધી પ્રવીણના સાથીઓએ બેડ માટે આજીજી કરી. ત્યારબાદ કમિશ્નરના પ્રયાસથી તોશામ રોડ વિસ્તારમાં એક ખાનગી હૉસ્પિટલમાં બેડ મળી શક્યો. તેમનું ઓક્સિજન લેવલ 40 સુધી પહોંચી ગયું હતું અને તેમના સાથીઓનું કહેવું હતું કે ડૉક્ટરોએ કહ્યું કે, તેઓ તેમનું કામ કરી રહ્યા છે. તમે પણ ભગવાનને પ્રાર્થના કરો. પ્રવિણ કુમારની સ્થિતિ ગંભીર હતી અને તેમણે મોડી રાત્રે છેલ્લા શ્વાસ લીધા.
પ્રવીણ કુમાર હિસાર શહેરની સફાઈ વ્યવસ્થા સંભાળી રહેલા સફાઈ કર્મચારી યૂનિયનના પ્રમુખ હતા. તેઓ લગભગ 700 સફાઈ કર્મચારીઓની ટીમને સંભાળી રહ્યા હતા. પ્રવીણ કુમાર શહેરના જાણીતા લોકો પૈકી એક હતા. તેમના એક ઈશારા પર સમગ્ર શહેરની સફાઈ વ્યવસ્થા પર બ્રેક વાગી જતી હતી.
નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ હોવા છતાં તેઓએ કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કારની 12 એપ્રિલ 2020થી કમાન સંભાળી હતી. એક વર્ષથી વધુ સમયથી પોતાની ટીમના સભ્યોની સાથે મળી કોરોનાના કારણે જીવ ગુમાવનારા 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હતા. આ ઉપરાંત અંતિમ સંસ્કાર પર મળનારી રકમનો મોટાભાગનો હિસ્સો આપવાથી લઈને જરૂરિયાત વાળા લોકોની મદદ માટે ખર્ચ કરી ચૂક્યા હતા.