75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં તિરંગા યાત્રા કાઢવાનું બીજેપી નેતાને મોંઘુ પડ્યું. દિલ્હી પોલીસે પરવાનગી વિના તિરંગા યાત્રા કાઢવા બદલ બીજેપી નેતા કુલજીત સિંહ ચહલ અને દિલ્હી જીમખાના ક્લબના ડાયરેક્ટર સહિત છ લોકો સામે કેસ નોંધ્યો છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી) અમૃતા ગુગુલોથે જણાવ્યું હતું કે જ્યારે VIP મૂવમેન્ટ દરમિયાન દળોની તૈનાત માટે કવાયત ચાલી રહી હતી ત્યારે તેઓએ કોઈપણ પરવાનગી વિના યાત્રા કાઢી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 186 (જાહેર સેવકને જાહેર કાર્યોમાં વિઘ્ન નાખવું) અને 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનું અનાદર) હેઠળ તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હી ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ ચહલે કહ્યું કે તેમને યાત્રાના સંબંધમાં નોંધાયેલા કોઈપણ કેસની જાણ નથી.
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર દેશભરમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજકારણીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા આવી તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે.