ભારતના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 33મી પૂણ્યતિથિ છે, ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં આવેલા શક્તિ સ્થળ ખાતે ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસે Tweet કર્યું કે, ભારત અને ભારતના લોકો માટે ઇન્દિરા ગાંધી યાદગાર છે, તે એક એવા નેતા હતા જેમનો દ્દઢ વિશ્વાસ અદ્વિતીય હતો. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Tweet કરીને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પુણ્યતિથિના પ્રસંગે શ્રદ્ઘાંજલિ આપી.
ઇન્દિરા ગાંધી સક્રિય રાજનીતિમાં પોતાના પિતા જવાહરલાલ નેહરૂના નિધન પછી આવ્યા હતા. તેમણે પ્રથમ વખત પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળમાં માહિતી અને પ્રસારણ મંત્રીનું પદ સભાળ્યું હતુ, શાસ્ત્રીજીના નિધન પછી ઇન્દિરા ગાંધીને દેશના ત્રીજા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને ઇન્દિરા ગાંધીને 1971માં ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ઇન્દિરા ગાંધીએ 1974માં પરમાણુ પરિક્ષણ કરીને દેશને પરમાણુ શક્તિ પ્રદાન કરી હતી. તેમણે દેશનું 1966-1977 સુધી અને 1980-1984 સુધી દેશનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યુ હતુ. વર્ષ 1981માં અમૃતસરના સિખ મંદિર પરના ઑપરેશન બ્લૂ સ્ટારથી ઇન્દિરા ગાંધીનો વિરોધ થયો હતો.31 ઓક્ટોબરે 1984માં ઇન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા થઈ હતી.