નવી દિલ્હીઃ ભારતના પશ્વિમ-દક્ષિણ વિસ્તારના દરિયા કિનારા ઉપર અત્યારે તૌક્તે વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ઉપર પણ તૌક્તે વાવાઝોડાનો ખતરો છે. જોકે, તૌક્તે વાવાઝોડાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂં કરી દીધું છે. વાવાઝોડાની અસર માત્રથી કેરળમાં 2 લોકો અને કર્ણાટકમાં ચાર લોકો આમ તૌક્તેના કારણે છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગોવામાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે. ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું તૌક્તે સક્રિય અને વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. કર્ણાટક રાજ્ય ઈમર્જન્સી ઑથોરિટીના જણાવ્યા મુજબ વાવાઝોડાંની અસરના કારણે 24 કલાકમાં 6 જિલ્લામાં 3 કાંઠાના જિલ્લા અને 3 અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. અત્યારસુધીમાં ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે અત્યારસુધી 73 લોકો પ્રભાવિત થયા છે.
નોંધનીય છે કે, પોરબંદર અને મહુવાની વચ્ચે સંભવિત ત્રાટકનાર વાવાઝોડાની સૌથી માઠી અસર ગીરસોમનાથ જિલ્લાને થવાની સંભાવના છે. આ સંભાવનાઓને પગલે ગીરસોમનાથ જિલ્લા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીંયા જિલ્લાના 3 શહેરો અને 24 ગામડાઓ હાઇએલર્ટ પર છે. જ્યારે ગીરસોમનાથના આશરે 12,500 કરતાં વધુ કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે.
વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકવાની આગાહીના પગલે જામનગરના બેડી બંદરે ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. બંદરે કોઈપણ અનઅધિકૃત લોકોને પ્રવેશ બંધ કરી મરીન કમાન્ડો દ્વારા ખાસ પહેરો ગોઠવી પેટ્રોલીંગ વધારી દેવાયું છે. સૌરાષ્ટ્રભરના વાવાઝોડું જ્યાં ત્રાટકી શકે છે તેવા વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. હાલ જામનગર સહિત સમગ્ર ગુજરાતનાં દરિયા કિનારે બીજા નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવાયા છે.