ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે અચાનક રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ગઈકાલે બિપ્લબ દેબ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, પરંતુ આજે રાજીનામું આપીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. ત્રિપુરામાં બીજેપીના ઘણા ધારાસભ્યો બિપ્લબ દેબથી નારાજ હતા અને તેની પડઘો હાઈકમાન્ડ સુધી પણ પહોંચી હતી.
રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે કહ્યું, મેં પીએમ મોદી સાથે વાત કરી છે. હું ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યો હતો. જ્યારે હાઈકમાન્ડે મને રાજીનામું આપવા કહ્યું ત્યારે મેં આ પગલું ભર્યું. આગળ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેની તૈયારીઓમાં હું વ્યસ્ત રહીશ. ભાજપના કાર્યકર તરીકે હું પક્ષને મજબૂત કરતો રહીશ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે કેન્દ્રીય નિરીક્ષક તરીકે ત્રિપુરામાં છે. બિપ્લબ કુમાર દેબના સ્થાને નવા નેતાની જાહેરાત આજે સાંજે થઇ શકે છે.
ભાજપે આગામી સમય પાર્ટીને નુકશાન ન થાય તેના આગાઉ પાણી પહેલા પાડ બાંધી દીધા છે. ઘણા ધારાસભ્યો એક વર્ષથી બિપ્લબ દેબ સામે નારાજ હતા. ગયા વર્ષે જૂનમાં ધારાસભ્યોનું એક જૂથ બિપ્લબ દેબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા દિલ્હી આવ્યું હતું. જો કે, પછી હાઇકમાન્ડે દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો હતો અને રાજ્યના પ્રભારી વિનોદ સોનકરને આ મુદ્દાને ઉકેલવા માટે કહેવામાં આવ્યું હતું.