નવી દિલ્હીઃ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા કરવા માટે પોલીસ 24 કલાક ખડે પગે રહીને પોતાની ફરજ બનાવી રહી છે. ત્યારે દિલ્હીના એક પોલીસે સાચા કોરોના વોરિયર્સનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. દિલ્હી પોલીસમાં ASI રાકેશ કુમાર જેવા પોલીસકર્મીઓએ આ વાતને સાબિત પણ કરી છે. હાલના સમયમાં કોરોના કાળનો સામનો કરી રહેલા દેશમાં આંતરિક વ્યવસ્થાને ફ્રન્ટલાઇન વર્કર પોતાના જીવ જોખમમાં મૂકીને મજબૂત કરી રહ્યા છે. રસ્તાઓ, હૉસ્પિટલોથી લઈને સ્મશાન સુધી તેમની ઉપસ્થિતિ છે. આ મુશ્કેલ સમયમાં પોતાની ડ્યૂટી માટે રાકેશ કુમાર એ હદે સમર્પિત છે કે તેમણે પોતાની દીકરીના લગ્ન પણ પાછળ ધકેલવાનો નિર્ણય કર્યો છે.
એક સમાચાર પત્રમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, 56 વર્ષીય રાકેશ કુમાર ગત એક મહિનાથી રાજધાની દિલ્હીના સ્મશાનમાં દરરોજ ડ્યૂટી નિભાવી રહ્યા છે. 36 વર્ષથી પોલીસ ફોર્સ સાથે કામ કરી રહેલા રાકેશ કુમાર હજરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે, પરંતુ તેમને હાલ સ્મશાનમાં તૈનાત કરવામાં આવ્યા છે, તેઓ આ દરમિયાન પૂજારી અને દુઃખમાં ડૂબેલા પરિવારોની મદદ કરે છે.
રાકેશ કુમાર જણાવે છે કે, હું ગ્રાઉન્ડ પર સવારે 7 વાગ્યાની આસપાસ આવું છું અને સ્થાન તૈયાર કરવામાં પૂજારી અને કર્મચારીઓની મદદ કરું છું. આખો દિવસ ચિતા સળગાવવી, મૃતદેહ ઉઠાવવા, પૂજા માટે સામાન ખરીદવો અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરની સાથે સમન્વય કરવામાં મદદ કરું છું. તેઓએ જણાવ્યું કે, 13 એપ્રિલથી તેઓ 1100થી વધુ અંતિમસંસ્કારમાં મદદ કરી ચૂક્યા છે. તેમાંથી અનેક લોકોને કોવિડ હતો. તેમના પરિવારના સભ્યો અહીં ન આવી શક્યા. એવામાં અહીં પહોંચનારા દરેક વ્યક્તિની મદદ કરે છે. હું ગ્રાઉન્ડથી સાંજે 7-8 વાગ્યે નીકળું છું.
રાકેશ કુમારની દીકરીના લગ્ન 7 મેના રોજ થવાના હતા, પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે હાલ લગ્નને ટાળવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, પીપીઇ કિટ અને ડબલ માસ્ક દરેક સમયે પહેરે છે, તો હું મારા પરિવારને જોખમમાં નથી મૂકવા માંગતો. અને અહીં એવા અનેક પરિવાર છે, જેમને અમારી મદદની જરૂર છે. હવે આ મારું કર્તવ્ય છે. હું અહીંથી કેવી રીતે જઈ શકું અને મારી દીકરીના લગ્ન કરાવી શકું?