નવી દિલ્હી : ટ્વિટરે 3 સપ્ટેમ્બર, ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત વેબસાઇટ સાથે જોડાયેલ એકાઉન્ટ હેક થઈ ગયું હતું, જેને પાછળથી સુધારવામાં આવ્યું હતું. ટ્વિટરના પ્રવક્તાએ ઇમેઇલ કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે અમે આ પ્રવૃત્તિથી વાકેફ છીએ અને હેક કરેલા એકાઉન્ટને સુરક્ષિત કરવા પગલાં લીધાં છે. અમે પરિસ્થિતિની સક્રિયતાથી તપાસ કરી રહ્યા છીએ. આ સમયે, અમને કોઈ અન્ય ખાતાની અસર થવાની ખબર નથી. તમે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે જરૂરી માહિતી જોઈ શકો છો. હેક કરેલા એકાઉન્ટમાં લગભગ 25 લાખ ફોલોઅર્સ છે.
અહેવાલો અનુસાર વડાપ્રધાન મોદીની વ્યક્તિગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સાયબર ગુનેગારે ક્રિપ્ટો ચલણનો ઉપયોગ કરીને કોવિડ -19 માટે વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપવા વિનંતી કરી હતી. બીજા સંદેશમાં કહ્યું કે હા, આ એકાઉન્ટ જોન વિક દ્વારા હેક કરવામાં આવ્યું છે, અમે પેટીએમ મોલને હેક નથી કર્યું. આ અગાઉ 30 ઓગસ્ટે, સાયબર સિક્યુરિટી ફર્મ સાઇબેલે દાવો કર્યો હતો કે, પેટીએમની ઇ-કોમર્સ એન્ટિટી પેટીએમ મોલમાં ડેટા ભંગની ઘટના માટે હેકર જૂથ જ્હોન વિક જવાબદાર છે.
ટ્વિટરે એમ પણ કહ્યું હતું કે તેની તપાસ મુજબ, તાજેતરનો હુમલો ટ્વિટર સિસ્ટમ અથવા સેવા અસુરક્ષિત હોવાના કારણે થયો નથી. ટ્વિટરે કહ્યું હતું કે હાલમાં કોઈ સંકેત અથવા પુરાવા નથી કે ખાતું હેક થઈ રહ્યું છે અને જુલાઈની ઘટના વચ્ચે કોઈ સંબંધ છે. જુલાઈમાં, જેફ બેઝોસ, બરાક ઓબામા, બિલ ગેટ્સ, એલોન મસ્ક અને અન્ય ઉચ્ચ પ્રોફાઇલ વપરાશકર્તાઓના એકાઉન્ટ પણ હેક થયા હતા.