નાગપુર: કોરોના વાયરસ સામે લડવા માટે દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શન સંજીવની સમાન સાબિત થયું છે ત્યારે કપરા કાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછતના કારણે બ્લેક માર્કેટ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં બે લોકો રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને તેને વેચવા જતા ઝડપાયા છે.
પોલીસ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુરના સક્કરદારા વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેઓ રેમડેસિવીરની બે શીશીમાં પાણી ભરીને તેને 28 હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે 28 વર્ષીય અભિલાષ પેટકર અને 21 વર્ષીય અનિકેત નંદેશ્વર એક્સ-રે ટેક્નિશિયન તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે એક વ્યક્તિને રેમડેસિવીર ઇન્જેક્શનના બે ડોઝ આપ્યા હતા. આ માટે પહેલા બંનેએ 40 હજાર રૂપિયા માંગ્યા હતા, જે બાદમાં 28 હજાર રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ઇન્જેક્શન ખરીદનાર વ્યક્તિના કોઈ સંબંધીને હૉસ્પિટલમાં ખસેડાયા હતા, તેમની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હતી.
સક્કરદારા પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે દર્દીના સગાને બંને ઇન્જેક્શન અંગે કોઈ શંકા પડી હતી. જે બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવીને બંનેની ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ બાદ બંનેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બંનેએ બીજા કોઈ વ્યક્તિઓને પણ આવી રીતે બોગસ ઇન્જેક્શન વેંચ્યા છે કે નહીં તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના 62,097 નવા કેસ નોંધાયા છે. જે બાદમાં રાજ્યમાં કુલ કેસની સંખ્યા 39,60,359 થઈ છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 519 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં મંગળવારે કોરોના વાયરસના નવા 7,192 કેસ નોંધાયા હતા અને 34 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ મુંબઈમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 5,94,059 પર પહોંચી છે. મુંબઈમાં અત્યારસુધી કોરોનાથી 12,446 લોકોનાં મોત થયા છે.