યુનોના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેરેસે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય લશ્કર પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તણાવને ઘટાડવા મહત્તમ અંકૂશ રાખવાનો આગ્રહ કર્યો છે. પુલવામા હુમલામાં ભારતના 49 જવાનોએ જીવ ગુમાવ્યા છે.
યુનોના મહાસચિવે પ્રવક્તા મારફત કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું કે યુનો ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી ગંભીર કટોકટીની સ્થિતિથી ચિંતિત છે. જો બન્ને દેશોને માન્ય હોય તો યુનો મધ્યસ્થી કરવા તૈયાર છે. યુનોના વડાએ બુધવારે પાકિસ્તાની રાજદુત મલીહા લોધીને મળવા માટે બોલાવ્યા હતા અને યુનોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી હોવાનું ઇએફએ ન્યૂઝે જણાવ્યું છે.
પ્રવક્તા સ્ટેફહેન ડુઝેર્રિકે પત્રકારોને જણાવ્યું હતું કે, મહાસચિવ ગ્યુટેરેસે બન્ને દેશોને તણાવ હળવું કરવા માટે “મહત્તમ અંકુશનો ઉપયોગ કરવાની સાથે તાત્કાલિક પગલા ભરવાનું કહ્યું છે.
14મી ફેબ્રુઆરીએ પુલવામામાં વિસ્ફોટકો સાથે લોડ થયેલી કાર દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને સીઆરપીએફના 49 જવાનો શહીદ થયા હતા. નવી દિલ્હીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મહોમ્મદે હુમલો કરાવ્યો હોવાનું કહ્યું હતું. હુમલા બાદ બન્ને દેશો વચ્ચે બોર્ડર પર ભારે ટેન્શન અને અજંપા પ્રવર્તી રહ્યો છ. પાકિસ્તાન દ્વારા આતંકવાદી ગ્રુપને ટેકો આપવામાં આવી રહ્યો હોવાથી કાશ્મીરમાં અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે. પુલવામામાં થયેલો હુમલો પાછલા 30 વર્ષનો સૌથી ઘાતક હુમલો હતો.
જ્યારે 18મી ફેબ્રુઆરીએ કાશ્મીરમાં થયેલા ગન બેટલમાં ચાર સૈનિકો સહિત પોલીસ કર્મચારી પણ શહીદ થયા હતા.
સંયુક્ત રાષ્ટ્રના યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ (યુએનએચસીએચઆર) ના પ્રવક્તા રુપર્ટ કોલવિલે મંગળવારે જિનેવામાં જણાવ્યું હતું કે યુએન પુલવામામાં 18 ફેબ્રુઆરીએ થયેલા ગન બેટલમાં થયેલી જાનહાનિથી પણ યુનોને આઘાત લાગ્યો છે.
રુપર્ટ કોલવિલે કહ્યું કે “અમે આશા રાખીએ છીએ કે પરમાણુ ધરાવતા બે પાડોશી દેશો વચ્ચે વધતો તણાવ આ બન્ને દેશોની અસલામતી તરફ આગળ વધશે નહીં.
કોલવીલે જણાવ્યું હતું કે, ભારતના વિવિધ ભાગોમાં રહેતા કશ્મીરી અને મુસ્લિમ સમુદાયોને લક્ષ્યાંક બનાવવાની ધમકી અને હિંસાના સંભવિત કૃત્યો માટે કેટલાક તત્વો પુલવામા હુમલાનો ઉપયોગ કરી રહ્યા છે જેને લઈને પણ યુનોના હાઈ કમિશનર મિશેલ બેચેલેટ પણ ચિંતિત છે.
તેમેણે કહ્યું કે ભારત ભરમાં પુલવામા હુમલાને લઈ થઈ રહેલી હિંસાત્મક પ્રવૃત્તિઓ અંગે ભારત સરકાર પુરતા પગલા ભરે અને લોકોને જાન-માલના નુકશાનથી બચાવવા કાર્યવાહી કરે.