નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેત તબાહી મચાવી રહી છે ત્યારે કોરોનાનું નવું સ્વરૂપ બાળકોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યું છે. જોકે, હવે કોરોના સામે બાળકોને રક્ષણ આપવા માટે વેક્સીનના ટ્રાયલ શરૂ થઈ જશે. સરકારે મંગળવારે કહ્યું કે 2-18 વર્ષની ઉંમરના બાળકો પર કોરોના વાયરસ વિરોધી કોવેક્સીનની અસરના ટ્રાયલ 10-12 દિવસમાં શરૂ થશે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, કોવેક્સીનને 2થી 18 વય જૂથ માટે ફેઝ-2 અને ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલએ સ્વીકૃતિ આપી દીધી છે.
વીકે પૉલે કહ્યું છે કે, મને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષણ આગામી 10-12 દિવસમાં શરૂ થઈ જશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકદ્વારા નિર્મિત કોવેક્સીન વાયરસના મોટાભાગના વેરિયન્ટની વિરુદ્ધ પ્રભાવી હોવાનું સામે આવ્યું છે.
બાળકો માટે ટ્રાયલની આ જાહેરાત એ અહેવાલોની વચ્ચે થઇ જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ બાળકોને વધુ પ્રભાવિત કરી રહ્યા છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મંગળવારે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો કે સિંગાપુરની સાથે તમામ હવાઈ સેવાઓને તાત્કાલિક રદ કરી દેવી જોઈએ કારણ કે ત્યાં સામે આવેલું કોરોના વાયરસનું નવું સ્વરૂપ બાળકો માટે ‘ખૂબ ખતરનાક’ ગણાવવામાં આવી રહ્યું છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ સરકારમાં જેટલી સરળતાથી સવાલ ઉઠાવનારા લોકોની ધરપકડ થાય છે, જો એટલી જ સરળતાથી વેક્સીન મળી જાય તો દેશ આજે આ દર્દનાક સ્થિતિમાં ન હોત. તેઓએ એવું પણ કહ્યું કે દેશના ભવિષ્ય માટે ‘મોદી સિસ્ટમ’ને ઊંઘમાંથી જગાડવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે, આવનારા સમયમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા પડશે. પીડિયાટ્રિક સ્વાસ્થ્ય સુવિધાઓ તથા વેક્સીન-સારવારના પ્રોટોકોલ અત્યારથી તૈયાર થવા જોઈએ. દેશના ભવિષ્ય માટે વર્તમાન ‘મોદી સિસ્ટમ’ને ઊંઘમાંથી જાગવાની જરૂર છે.