નેશનલ અનલોકમાં અનેક મંદિર ખુલી ગયાં છે. ધીમે-ધીમે મંદિરોમાં લોકોની સંખ્યા અને દાનની રકમ પણ વધી રહી છે. વૈષ્ણોદેવી મંદિરથી લઇને તિરૂપતિ સુધી, જ્યાં મંદિર ખુલ્યા છે, ત્યાં હવે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નિરંતર વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રના બધા મંદિર આ સમયે બંધ છે. શિરડી સાંઇ મંદિર, સિદ્ધિ વિનાયક જેવા મોટા મંદિરમાં છેલ્લાં 6 મહિનાથી સન્નાટો ફેલાયેલો છે. લાખોની સંખ્યામાં ભક્તોની અવર-જવરવાળા આ મંદિરો આટલાં ઉજ્જડ ક્યારેય હતાં નહીં. પરંતુ, ઓનલાઇન દર્શન ચાલી રહ્યા છે. 16 ઓગસ્ટથી શરૂ થયેલાં જમ્મૂના માતા વૈષ્ણોદેવી મંદિરમાં બધા ચહેરા માસ્કવાળા જોવા મળે છે. સંખ્યા ઓછી છે પરંતુ જય માતા દીના જયકારનો જોશ તેવો જ છે. પગપાળા કે બેટરી કારથી જતાં લોકો એકબીજાને જોઇને જય માતા દીથી એકબીજાને વિશ કરે છે. હવે શ્રદ્ધાળુઓની સંખ્યા રોજ 5000 કરી દેવામાં આવી છે. તેમાંથી 4500 લોકો જમ્મૂના રહેશે અને બહારના રાજ્યોથી માત્ર 500 શ્રદ્ધાળુ. અત્યાર સુધી રોજ લગભગ 2000 લોકોને મંજૂરી હતી. તેમાં બહારના લોકોની સંખ્યા માત્ર 100 જ હતી. વૈષ્ણોદેવી દર્શન માટે દરેક શ્રદ્ધાળુઓ પાસે 48 કલાક પહેલાનો કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. જો કોરોનાનો રિપોર્ટ 48 કલાકથી વધારે જૂનો છે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં. 10 વર્ષથી નાની ઉંમરના અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓનો એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. 30 સપ્ટેમ્બર સુધીનું બુકિંગ લગભગ થઇ ગયું છે. ઓનલાઇન મંજૂરી લઇને આવતાં લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.