ઘરની આસપાસના વાતાવરણને સુંદર અને સુગંધિત બનાવવા માટે આકર્ષક અને સુગંધિત વૃક્ષ અને છોડ રોપવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ છોડને રોપતાં અગાઉ જો વાસ્તુશાસ્ત્રના સિધ્ધાંતોનું ધ્યાન રાખવામાં આવે તો કૌટુંબિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.મનમોહક સુગંધ પ્રસરાવતાં છોડોનો ઉપયોગ વાસ્તુવિજ્ઞાાનમાં ભિન્ન-ભિન્ન ઉદ્દેશોથી કરવામાં આવે છે જેમ કે આયુર્વેદિક ઔષધિનું નિર્માણ, પૂજા-અર્ચના તથા ઘરની આંતરિક ઊર્જાને સકારાત્મક બનાવવા વિવિધ પ્રકારની સુરભી આપણી મનોદશા અને મન:સ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આથી જો આ સુવાસનો ઉપયોગ સકારાત્મક રીતે કરવામાં આવે તો આપણે આપણી આસપાસ એક સકારાત્મક ઊર્જા ક્ષેત્રનું નિર્માણ કરવામાં સફળતા મેળવીએ છીએ. આપણા ઘરની આસપાસ અને અંદર ચોક્કસ પ્રકારના છોડને ઉગાડવાની સલાહવાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે.
તુલસી:
ઔષધીય ગુણોથી ભરપૂર અને તીવ્રતાથી મનને પ્રફુલ્લિત કરનારા તુલસીના છોડને જો ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ઉગાડવામાં આવે તો તે ઘરની અંદર તથા આસપાસ એક સશક્ત સકારાત્મક ઊર્જા ક્ષેત્રનું નિર્માણ કરે છે જેનાથી અનેક વાસ્તુદોષોનું નિરાકરણ શક્ય છે. તુલસી ઘણા પ્રકારની હોય છે જેમ કે રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી વગેરે. આમ તો તમામ પ્રકારની તુલસીને ઉગાડવી લાભકારક છે, પરંતુ શ્યામ તુલસીને વાસ્તુ ઊર્જામાં વૃદ્ધિ કરવાનું એક સશક્ત માધ્યમ માનવામાં આવે છે. આ તુલસીના પાનમાં ‘મરકરી’ નામના સૂક્ષ્મ તત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે જે વાયુ શુધ્ધ કરવાની દ્રષ્ટિએ ‘આયો-નાઈઝર’નું કામ કરે છે. વાસ્તુ અનુસાર જે ઘરની અંદર તુલસીના છોડમાંથી પસાર થઈને હવા જાય છે ત્યાંનુ વાતાવરણ સ્વાસ્થ્યપ્રદ રહે છે.
ફુદીનો:-
ઘરની આસપાસ ખાસ કરીને પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ક્યારી બનાવીને ફુદીનો ઉગાડવાથી આસપાસના વાતાવરણની હવા શુધ્ધ બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં રહેલા અંધારા ઓરડા, પગથિયાં તથા ટોઈલેટની નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલવામાં ફુદીનાના છોડ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
અશ્વગંધા:-
આ એક સુંદર સુશોભનમાં મૂકવાને યોગ્ય છોડની શ્રેણીમાં આવે છે. જેના મૂળમાંથી ઘોડાના શરીર અને તબેલા જેવી ગંધ આવે છે. અશ્વગંધાના છોડ મધ્યમ કદના હોય છે અને માનસિક તાણ, અવસાદ તથા શક્તિહીનતા જેવા વિકારોને દૂર કરનારી દવા આ છોડમાંથી બને છે. ઘરની ઉત્તર તથા વાયવ્ય દિશામાં અશ્વગંધા ઉગાડવાથી ઘરમાં ખરાબ ઊર્જા તથા અવાંચ્છનીય શક્તિઓ પ્રવેશતી નથી. પરિવારજનોનું મનોબળ તથા શક્તિ વધારવામાં મદદરૂપ અશ્વગંધાને દક્ષિણ દિશામાં પણ ઉગાડી શકાય છે.
ખસ :-
શીતલ ગુણો ધરાવતો ઝાડ જેવો આ છોડ ચિંતા, અવસાદ, ઉષ્ણતા તથા ઉત્તેજનાને નિયંત્રિત કરે છે. ભારતમાં મોટે ભાગે પશ્ચિમી વાયરા વાય છે એટલે જો ઘરની પશ્ચિમમાં ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ખસના છોડને રોપવા. વાસ્તુ શાસ્ત્રમાં વાયવ્યદિશાને વાયુની દિશા કહેવામાં આવે છે. અહીં શીતળતા અને સૌમ્યતા દેનારા આ છોડની હાજરી ઘરની વાસ્તુ ઊર્જાને સંતુલિત કરે છે.
મોગરા :-
વાસ્તુ શાસ્ત્રમાં મોગરો મનને પ્રસન્નતા તથા તાજગી આપતાં સાધન તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. મોગરના ફૂલોની સુંગધથી મનમાં ‘અલ્કા-બ્રેન વેવ્સ’ પેદા થાય છે. જે વધારાની શક્તિ, સારી ઊંઘ તથા શાંતિ પ્રદાન કરે છે. મોગરાની સુવાસની આ વિશેષતાને કારણે જ વાસ્તુમાં સલાહ આપવામાં આવે છે કે સવારની પૂજામાં મોગરાની સુરભી ધરાવતી અગરબત્તી કે ધૂપનો ઉપયોગ કરવાને બદલે સાંજની પૂજામાં તેનો ઉપયોગ કરવો લાભકારક રહેશે.
ધ્યાનમાં રાખવા જેવી વાત
– કેટલાક સુગંધી છોડ જેમ કે રાતરાણી, ચંપા વગેરેને ઘરથી થોડે દૂર રોપવા તથા રાતના તેનાથી દૂર રહેવું કારણ કે ક્યારેક તેની આસપાસ સાપ, વીંછી જેવા ઝેરી જીવ-જંતુ આવવાનો ભય રહે છે.