નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHO)એ ભારત સહિત કેટલાક અન્ય દેશોને તાકીદ કરી છે કે લોકડાઉન હળવા કરવામાં સાવધ રહેવું. કોરોના વાયરસના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતા, ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે નિયંત્રણો હળવા કરતી વખતે સરકારોને ખૂબ કાળજી લેવાની જરૂર છે. ‘કોવિડ -19’ પર ડબ્લ્યુએચઓની નિયમિત પ્રેસ કોન્ફરન્સના પ્રશ્નના જવાબમાં, સંસ્થાના આરોગ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર માઇકલ જે. રેયાને કહ્યું કે લગભગ તમામ દેશોમાં નવા કેસો વધી રહ્યા છે જ્યારે કેટલાક દેશોમાં તે ઘટી પણ રહ્યા છે. સંખ્યાની સાથે સાથે આ દેશોમાં આ મહામારીના જોખમને જોતા સૌથી વધુ ભારત, રશિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સુડાન, પેલેસ્ટાઇન, યમન અને દક્ષિણ અને મધ્ય અમેરિકા જેવા દેશોની ચિંતા કરે છે.
તેમણે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં કોરોનાના કેસોમાં 76 ટકાનો અને સુડાનમાં 145 ટકાનો વધારો થયો છે. પેલેસ્ટાઇનમાં આનાથી થતાં મૃત્યુમાં 100 ટકાનો વધારો થયો છે. યમનમાં કેસો ઓછા છે પરંતુ રોગચાળો સમુદાય સ્તરે ફેલાવા લાગ્યો છે. યુરોપમાં નવા કેસો ઘટી રહ્યા છે, પરંતુ રશિયામાં વધી રહ્યા છે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ અને ભારતમાં કેસ વધી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં ભારતમાં 10400 થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 4 મેના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 42,533 કેસ નોંધાયા હતા, જે 7 મેના સવારે 8 વાગ્યા સુધીમાં વધીને 52,952 થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 1,373 થી વધીને 1,783 થઈ ગઈ છે. ડબ્લ્યુએચઓનાં તકનીકી વડા મરિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે દેશોની તુલના ફક્ત સંખ્યાના આધારે કરી શકાતી નથી.
ડબ્લ્યુએચઓ મુજબ, એવા દેશની તુલના કરવી ખોટું હશે જ્યાં વધુ તપાસ થાય છે અને સંખ્યા વધુ છે અને બીજા દેશમાં જ્યાં તપાસ ઓછી છે અને સંખ્યા ઓછી છે. તેમણે કહ્યું કે ઘણા દેશોએ કેસને ઝડપથી વધતા અટકાવવા લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે પ્રતિબંધોને હળવા કરતી વખતે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તે પહેલાં સ્વાસ્થ્યનું માળખું મજબુત બનાવવું પડશે અને સરકારોએ એ જોવું પડશે કે તેઓ શંકાસ્પદ લોકોને ઓળખવા માટે, તેઓના સંપર્કમાં આવતા લોકોને ઓળખવા અને તેમની શોધખોળ કરવા માટે પૂરતા માધ્યમ ધરાવે છે. જો આપણે આ વાયરસને કોઈ તક આપીએ, તો તેનો ચેપ ફરી વધી શકે છે.