લાંબા સમયની નિરાશા બાદ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે આખરે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું, છેલ્લા એક વર્ષથી હાર્દિકના એક પછી એક પાર્ટી વિમુખ નિવેદનોથી આશંકા હતિત જ કે તે કંઈક નવા-જૂની કરશે, આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિકે એ જ કર્યું, તો જતાં જતાં ગુજરાત કોંગ્રેસ અને હાઈ કમાન સામે અનેક ગંભીર આરોપો મૂકીને ગુજરાતનો રાજકીય ગરમાવો વધારતો ગયો છે.
હાર્દિકે હવે જ્યારે કોંગ્રેસ છોડી છે ત્યારે અટકળોનું બજાર ગરમ છે, સામાન્ય લોકો અને અમુક રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે ત્યાં સુધી હાર્દિક હવે ભાજપમાં ભળશે, અને જો એવું થશે તો ભાજપને તો કોઈને કોઈ રીતે ફાયદો છે જ પરંતુ સામે કોંગ્રેસને હાર્દિકના જવાથી ખરેખર કેટલું નુકશાન થશે?
હાર્દિક પટેલ આંદોલનથી નીકળીને નેતા બન્યો છે, વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાનના સમયગાળામાં હાર્દિક પટેલના દિવસો ખૂબ ઊંચા રહ્યાં, ત્યારબાદ 2017માં રાજ્યની વિધાનસભા ચુંટણી આવી.
વિધાનસભાની ચુંટણીમાં હાર્દિક પટેલે તેના અનેક સાથીદારો સાથે ગુજરાતભરમાં ભ્રમણ કરીને સત્તાધારી ભાજપ સામે પ્રચાર કરેલો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અનેક બેઠકો ઉપર હાર્દિક પટેલની ધારદાર વાતોની અસર થઇ.
ઇતિહાસ જોઈએ તો ગુજરાતમાં પાટીદાર સમાજ પહેલાં કોંગ્રેસ તરફી રહેલો, પણ વર્ષ 1985ની ચુંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની KHAM થિયરીની રણનીતિમાં કોંગ્રેસે પાટીદાર સમાજને અવગણ્યો, પરિણામે લગભગ સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ તે સમયની નવી ઉભરતી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો, ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસની ગુજરાતમાં પડતીના દિવસો શરૂ થયા, સામે ભાજપે પણ પાટીદાર સમાજને ખૂબ સાચવ્યો, કેશુભાઈ પટેલથી લઈને આનંદીબેન, નીતિન પટેલ અને હવે ભૂપેન્દ્ર પટેલ સુધીના ટોચના નેતાઓએ ગુજરાત સર કર્યું.
પણ જે રીતે 2015માં પાટીદાર આંદોલન થયું, ત્યારથી ઘણા અંશે પટેલો ભાજપથી વિમુખ થાય, જેમાં સૌથી મોટું પરિબળ હાર્દિક પટેલનું રહ્યું, પરિણામે 22 વર્ષોથી ગુજરાતની સત્તા સંભાળનારી ભાજપ 2017ના ચુંટણી પરિણામોમાં માંડ 97 બેઠકો પર આવી પહોંચી, જ્યારે કોંગ્રેસે રેકૉર્ડ 77 બેઠકો મેળવી, આ ચુંટણીમાં એવું પણ કહેવામાં આવે છે કે હાર્દિકે તેના ટેકેદારો અને પસંદગીના 30 થી વધારે ઉમેદવારોને ટિકિટ અપાવેલી, જેમાં મોટાભાગના ઉમેદવારોએ જીત મેળવેલી. હવે જ્યારે હાર્દિકે કોંગ્રેસ છોડી છે ત્યારે પોતે જે કોંગ્રેસી નેતાઓને ટિકિટ અપવેલી તેવા નેતાઓ પણ કોંગ્રેસ છોડવાની લાઇનમાં છે તેવી અટકળો પ્રબળ છે.
2017ની ચુંટણીમાં કોંગ્રેસને ભરપૂર મદદ કરનાર હાર્દિક પછી કોંગ્રેસમાં જોડાયો, પાર્ટીએ તેને યુવા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો, હાર્દિકે ખૂબ કામ કર્યું… પણ જે થયું તે… હવે હાર્દિક કોંગ્રેસથી વિમુખ છે.
આગામી પાંચ મહિના સુધીમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે, હાર્દિકે કોંગ્રેસ છોડી દીધી છે, 2017થી પાટીદાર સમાજ આમ પણ ધીરે ધીરે ભાજપ તરફ વળી રહ્યો છે, હાર્દિકનો લડાયક તેવર હજુ એમનેમ છે, તો સામે કોંગ્રેસ એક પછી એક નેતાઓ ગુમાવી રહી છે, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના નેતાઓ પણ શામેલ છે.
હાર્દિકે પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ પર જે રીતે ગંભીર આરોપો કર્યા છે તેની અસર સામાન્ય જનતા પર ખૂબ પડશે, હાર્દિકની વાતોથી ખાસ કરીને વ્યવસ્થામાં માનનારો મતદાર કોંગ્રેસથી વિમુખ થશે તે ચોક્કસ છે.
ચુંટણી લડવા માટે કોઈ પણ પાર્ટી માટે ઊંચું મનોબળ ખૂબ જરૂરી છે જે અમુક અંશે હાર્દિકના જવાથી તૂટી રહ્યું છે, રાહુલ ગાંધીથી લઈને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને જગદીશભાઈ ઠાકોર સહિતના નેતાઓ મીડિયા સમક્ષ હાર્દિકને લઈને જે તણાવમાં જોવા મળી રહ્યા છે તે કોંગ્રેસની નબળી બનતી મનોસ્થિતિ દર્શાવે છે.
આક્રમક તેવરની વાક્છટા ધરાવતો હાર્દિક પોતાના તર્કથી લોકોને પોતાના તરફી કરવામાં માહેર છે, એટલે માની શકાય કે પાટીદાર સમાજના અમુક આગેવાનો અને યુવાનો જે હજી પણ કોંગ્રેસ તરફી છે તેઓને હાર્દિક પોતાના તરફી કરીને કોંગ્રેસથી વિમુખ કરવાનું કામ કરશે.
એકપછી એક પ્રમુખ નેતાઓ ગુમાવનાર ગુજરાત કોંગ્રેસ ચુંટણી પહેલાં તૂટી રહી છે, ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ આ દરેક સાંધાઓને જોડવામાં કેટલી સફળ થઈ શકે છે અને સત્તાધારી ભાજપા સામે ઊભી રહીને લડત આપી શકે છે, તે જોવું રહેશે.