રવિવાર જેઠ મહિનાની અમાસ છે. જ્યોતિષના સંહિતા ગ્રંથો પ્રમાણે રવિવારે અમાસનું હોવું અશુભ મનાય છે. આ સ્થિતિની દેશ-દુનિયા ઉપર અશુભ અસર થાય છે. આ તિથિએ તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન સાથે જ દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે. વર્તમાન સ્થિતિને જોતાં ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. જેઠ અમાસના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ બનવાથી આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. પિતૃઓ માટે આ દિવસે કરવામાં આવતી પૂજાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી બનેલાં પિતૃદોષનો અશુભ પ્રભાવ ઘટી જાય છે. રવિવારના સૂર્યગ્રહણનું સૂતક 12 કલાક પહેલાં એટલે શનિવારે રાતે 10 વાગ્યાથી શરૂ થઇ જશે. જે ગ્રહણ સાથે બપોરે 2.30 વાગ્યે પૂર્ણ થશે. એટલાં માટે સવારે સામાન્ય સ્નાન કરો. સવારે દાન અને પૂજા-પાઠ કરવા જોઇએ નહીં. પરંતુ ગ્રહણ પૂર્ણ થયા બાદ કરવામાં આવતાં દાનનું વિશેષ મહત્ત્વ રહેશે.