લંડનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને મીર જાફર પણ કહી દીધા છે. સંબિત પાત્રાએ કહ્યું કે નવાબ બનવા માટે મીર જાફરે જે કર્યું હતું, રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે.
રાહુલ ગાંધી પર નિશાન સાધતા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ લંડનમાં બેસીને બ્રિટન અને અમેરિકા પાસેથી આવી માગણી કરે તો તે યોગ્ય નથી. અમે માનીએ છીએ કે આ કોઈ મુદ્દો નથી પરંતુ ષડયંત્ર છે. સંબિત પાત્રાએ કહ્યું, “નવાબ બનવા માટે મીર જાફરે જે કર્યું અને રાહુલ ગાંધીએ લંડનમાં જે કર્યું તે એવું જ છે. રાજકુમાર નવાબ બનવા માંગે છે. આજના મીર જાફરે માફી તો માંગવી જ પડશે. રાજકુમાર, આ નહીં ચાલે.”
રાહુલ ગાંધીની માફી અંગે સંબિત પાત્રાએ કહ્યું કે, “એવું નથી કે રાહુલ ગાંધી માફી માંગ્યા વગર નીકળી જશે. માફી તો તેમણે માંગવી જ પડશે, અમે મંગાવીને રહીશું. રાફેલ મામલામાં પણ તેમણે માફી માંગવી પડી હતી અને આજે સંસદના ફ્લોર પર પણ માફી માંગવી પડશે. રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણી દ્વારા વિદેશોને ભારતમાં લોકશાહીની ‘રક્ષા’ માટે આવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે. આ કામ મણિશંકર ઐયર અને રાહુલ ગાંધી કરી રહ્યા છે, બંને ભારતને બદનામ કરી રહ્યા છે.”
રાહુલ ગાંધી પર નિશાન સાધતા સંબિત પાત્રાએ કહ્યું કે તે ખૂબ જ શરમજનક છે કે રાહુલ ગાંધીએ ભારતમાં લોકશાહીની આધારસ્તંભ સંસ્થાઓને ‘ડીપ સ્ટેટ્સ’ ગણાવી દીધી. સંબિતે કહ્યું કે રાહુલે ભારતીય સંસ્થાઓની તુલના પાકિસ્તાનની ISI સાથે કરી. તેમણે કહ્યું કે ભારતીય મીડિયા, ન્યાયતંત્ર વિવશ છે.
સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીનો સંસદમાં પ્રશ્નો પૂછવાનો રેકોર્ડ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે અને પછી તેઓ કહે છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પાસે એક જ ટેપ રેકોર્ડર છે અને આખા દેશમાં એ જ ચલાવે છે.