IPLની 16મી સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે મોટું નિવેદન આપ્યું છે. સેહવાગના મતે ચેન્નાઈની પીચ પર ગુજરાતની ટીમ માટે રાશિદ ખાન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
બંને ટીમો વચ્ચેની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 23 મેના રોજ સાંજે 7:30 કલાકે રમાશે. આ મેચમાં વિજેતા ટીમ 28 મેના રોજ રમાનારી ફાઈનલ માટે તેનું સ્થાન સીધું જ નિશ્ચિત કરશે. અત્યાર સુધી ચેન્નાઈની પીચ પર સ્પિન બોલરોને મદદ મળતી જોવા મળી છે. અહીં સ્પિન બોલિંગની સરેરાશ 27.2 છે, જ્યારે ઇકોનોમી રેટ 7ની નજીક છે. આવી સ્થિતિમાં સૌની નજર રાશિદના પ્રદર્શન પર ટકેલી છે.
સ્ટાર સ્પોર્ટ્સ શોમાં આ મેચ વિશે વાત કરતા વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે રાશિદ ખાન ગુજરાત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. જો તેને વિકેટ જોઈતી હોય તો તેણે બોલ રાશિદને સોંપવો પડશે. હાર્દિક પણ આ જ રીતે રાશિદનો ઉપયોગ કરે છે. રાશિદ ભાગીદારી તોડવામાં માહેર છે અને આ સિઝનમાં તેનું શાનદાર ફોર્મ પણ જોવા મળી રહ્યું છે.
રાશિદે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 24 વિકેટ લીધી છે.
આ સિઝનમાં રાશિદ ખાનના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 14 મેચમાં 24 વિકેટ ઝડપી છે. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે રાશિદ મોહમ્મદ શમી સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. રાશિદે આ સિઝનમાં અત્યાર સુધી 18.25ની એવરેજથી વિકેટ લીધી છે.