ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનનો જન્મ દિવસ છે અને તેમાં પણ આજે શનિવાર અને હનુમાન જયંતીનો સંયોગ છે જે ભાગ્યે જ આવતો હોય છે. હનુમાનજી સર્વમાન્ય અને સર્વ પ્રિય દેવ છે. આજના દિવસે તેમની પૂજા, સ્તુતિ, પ્રાર્થના કરી તેમની કૃપા મેળવાય છે. હનુમાનજીને આંકડાના ફૂલોનો હાર, તેલ મિશ્રિત સિંદૂર અને ઘૂપ ખૂબ પ્રિય છે.
આજે મંદિરોમાં રૂદ્ર યજ્ઞ પણ થતા હોય છે. તો આજના દિવસે હનુમાન પ્રથમ રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આજે બ્રહ્મચર્યનું પાલન કરી ભૂમિ પર શયન કરવાનું વિશેષ મહત્વ છે. અઘોર ઉપાસનાના સાધકો માટે આજનો દિવસ સાધના સિદ્ધિ માટે ઉપયોગી છે.
વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુત્સદ્દી રાજદૂત અને અનન્ય ભકત. શ્રી રામના અનન્ય એટલે પ્રિયપાત્ર શ્રીલક્ષ્મણ, શ્રી ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાન. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ ચારે યુગમાં અમર છે. અષ્ટ સિદ્ધિઓના દાતા છે. જેના ઉપર રીઝે તેનું કલ્યાણ થઈ જાય છે
કળિયુગમાં તાત્કાલિક ફળ આપનાર હનુમાનજી છે.વીર હનુમાનજી શનિદેવની દશા દબાવે છે. કલિંગના સમ્રાટ સૂર્યદેવના પુત્ર એટલે શનિદેવ. હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી ચારે વેદોનું ગૂઢ જ્ઞાન મેળવ્યું હતું. હનુમાન અને શનિદેવ વચ્ચેના યુદ્ધમાં હનુમાને શનિદેવને હરાવી પોતાના પગ નીચે દબાવ્યા હતા. તેલ-સિંદૂર શનિદેવના શરીર ઉપર ચઢાવે છે. તેથી તેમના કચડાયેલા હાડકાંને રાહત થાય છે. જ્યાં જ્યાં હનુમાનનાં મંદિરો હશે ત્યાં ત્યાં હનુમાનના પગ નીચે શનિદેવ જોવા મળશે.
ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા મંગળવારે અને શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે. શાસ્ત્રાોમાં દર્શાવ્યા મુજબ ચૈત્ર સુદ ચૌદસના દિવસે એકટાણું કરી અને બ્રહ્મચર્ય પાળી હનુમાનજીની સાધનાનો પ્રારંભ કરાય છે. પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સંકલ્પ કરાય છે. પ્રથમ ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કરી હનુમાનજીને સ્નાન કરાવી કેસર અને ચંદન લગાવી યજ્ઞોપવતિ પહેરાવાય છે.