વર્ષ 2023માં અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના મરાઠવાડામાં 685 ખેડૂતો દ્વારા આત્મહત્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. એક સત્તાવાર રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
દેશમાં એવા અનેક સમાચારો સામે આવે છે જ્યારે એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં વર્ષ 2023 ખેડૂતો માટે ઘણું ખરાબ સાબિત થયું છે. આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં, લગભગ 685 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી સૌથી વધુ 186 મૃત્યુ રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેના ગૃહ જિલ્લા બીડમાં થયા છે. એક સત્તાવાર રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.
મધ્ય મહારાષ્ટ્રના ડ્રાય ઝોનમાં આઠ જિલ્લાઓનો સમાવેશ થાય છે: ઔરંગાબાદ, જાલના, બીડ, પરભણી, નાંદેડ, ઉસ્માનાબાદ, હિંગોલી અને લાતુર. ડિવિઝનલ કમિશનરની ઓફિસ, ઔરંગાબાદના અહેવાલ મુજબ, 2023માં 1 જાન્યુઆરીથી 31 ઓગસ્ટ સુધીમાં મરાઠવાડા ક્ષેત્રમાં 685 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી અને તેમાંથી 294 લોકોના મોત ચોમાસાના ત્રણ મહિનામાં (જૂનથી ઓગસ્ટ)માં થયા હતા.
મરાઠવાડામાં ઓછો વરસાદ થયો હતો
એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં મરાઠવાડામાં 20.7 ટકા ઓછો વરસાદ થયો છે. આ પ્રદેશમાં 11 સપ્ટેમ્બર સુધી 455.4 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ ચોમાસાનો વરસાદ 574.4 મીમી છે. રિપોર્ટ અનુસાર બીડ જિલ્લામાં સૌથી વધુ 186 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. બીડ એ બળવાખોર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મુંડેનો હોમ જિલ્લો છે, જેઓ 2 જુલાઈના રોજ કેબિનેટ મંત્રી તરીકે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા હતા.
લગભગ 2 અઠવાડિયા પછી તેમને કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, બીડ પછી ઉસ્માનાબાદમાં સૌથી વધુ 113 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, ત્યારબાદ નાંદેડમાં 110, ઔરંગાબાદમાં 95, પરભણીમાં 58, લાતુરમાં 51, જાલનામાં 50 અને હિંગોલીમાં 22 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.