મહેસાણાઃ ગુજરાતમાં કોરોના બાદ ખુબ જ ગંભીર પ્રકારની બીમારી ઊભરી આવી છે. મ્યુકોરમાઈકોસિસ નામની આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મ્યુકોરમાઇકોસિસે વધુ એકનો ભોગ લીધો છે. મહેસાણા દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનોમ્યુકોરમાઇકોસિસે નામની જીવલેણ બીમારીએ ભોગ લીધો છે. તેઓની અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી હતી.
વધુ મળતી માહિતી પ્રમાણે ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ચૌધરીએ 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ તેમણે કોરોનાને હરાવ્યો હતો. પરંતુ કોરોના બાદ માનસિંગભાઇને મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારી થઇ હતી. મ્યુકરમાઇકોસિસ થતા તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થઇ ગયા બાદ સ્વાસ્થય સુધાર તબક્કામાં હોય, 40થી વધુ ઉમરના દર્દીઓ, ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા દર્દીઓ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેકશન થતું જોવા મળે છે.
વારંવાર શરદી થવી, નાક બંધ થઇ ગયુ તેવું અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાકમાંથી ખરાબ પ્રકારની સુંગધ આવવી, નાક અને સાયનસ વાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસના હોઇ શકે છે. નાક અથવા ગાલ પાસે નો ભાગ કાળો પડવા લાગે છે. આમાંથી કોઇપણ પ્રકારનું લક્ષણ જણાવી આવી ત્યારે સત્વરે ઇ.એન.ટી. સર્જનને બતાવીને તેની સલાહ લેવી જોઇએ.