અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કાસકર BJP સાથેના સોદા મુજબ ભારત પાછો આવવા ઇચ્છુક હોવાનું કહીને MNSના પ્રમુખ રાજ ઠાકરેએ વિવાદ જગાવ્યો છે. BJPએ પણ આવતી ચૂંટણીમાં વોટ મેળવવા એ ભાગેડુ ગુનેગારની ધરપકડ માટે પૂરતી તૈયારી કરી હોવાનું પણ રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું છે.
ગઈ કાલે એક સમારંભમાં MNSનુંઑફિશ્યલ ફેસબુક-પેજ લૉન્ચ કરતાં રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ખોટી નીતિઓ અખત્યાર કરવાનો અને ચૂંટણીપ્રચાર વખતે આપેલાં વચનો નહીં પાળવાનો આરોપ મૂકતાં આકરી ટીકા કરી હતી.
રાજ ઠાકરેએ તેમનું જૂનું અને જાણીતું પ્રાંતવાદનું વાજું વગાડતાં જણાવ્યું હતું કે ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈના ગુજરાતીઓને ગુજરાતમાં તેમના સમાજ સાથે જોડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. મરાઠીભાષીઓને તેમના હકથી વંચિત રાખવાના કોઈ પણ પ્રયાસ સામે ગંભીર પ્રત્યાઘાત વ્યક્ત કરવામાં આવશે.’
સોશ્યલ મીડિયા પર આવો વિડિયો પ્રસારિત કરવાનું પગલું રાજ ઠાકરેના મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશની ઉત્સુકતારૂપ માનવામાં આવે છે. કૌટુંબિક કારણસર તેમ જ ગ્પ્ઘ્ની તથા અન્ય ચૂંટણીઓમાં ધબડકાને કારણે પ્ફ્લ્ની લોકપ્રિયતા તળિયે ગઈ હોવાથી રાજ ઠાકરે કેટલાક વખતથી સાંપ્રત પ્રવાહ તરફ ઉગ્ર કે ઉત્સુક પ્રતિક્રિયા વ્યક્ત કરતા નહોતા. નિષ્ણાતો કહે છે કે રાજ ઠાકરે વચલા ગાળામાં ગુમાવેલું સ્થાન અને અન્ય ચૂંટણીઓને હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એ માટેનો ટાઇમિંગ પર્ફેક્ટ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે ૨૦૧૯ની ચૂંટણી પહેલાં BJP ચૂપચાપ સાંભળી લેવાની સ્થિતિમાં છે.
રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘BJPના નેતાઓ હળાહળ જુઠ્ઠા છે. તેઓ બધા વાર્તા બનાવે છે અને પોકળ વચનો આપે છે. મોદી વડા પ્રધાન બને એવું ઇચ્છા જાહેર કરનારો હું સૌથી પહેલો હતો. તેમણે વચનોને પાળ્યાં નથી. આપણે છેલ્લાં ૭૦ વર્ષોથી સાંભળતા આવ્યા છીએ એવાં પ્રવચનો નરેન્દ્ર મોદી સતત આપ્યા કરે છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતી હોવાને કારણે ત્યાંના મતદારોને પ્રભાવિત કરવા માટે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જપાનના વડા પ્રધાનને ઘરે પાછા પહોંચ્યા બાદ મોદીનો પ્લાન સમજાયો હશે. ભારત પર પહેલેથી જ આટલું જંગી દેવું હોય તો જપાન પાસેથી આટલી મોટી લોન લેવાનો શો અર્થ છે?’