ખાલાપુર ટોલ-પ્લાઝામાં પોતાનું કાર્ડ સ્વાઇપ કરતા પુણેના સેલ્સ મૅનેજરે બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ૯ સપ્ટેમ્બરે ૩૬ વર્ષના દર્શન પાટીલે પોતાના ડેબિટ કાર્ડથી ટોલ-પ્લાઝાને ૨૩૦ રૂપિયા ચૂકવ્યા હતા. એના બે કલાક બાદ તેના અકાઉન્ટમાંથી ૮૭,૦૦૦ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. તેણે પુણેના હડપસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શનિવારે સાંજે દર્શન પાટીલ તેના પુણેના ઘરે પાછો જઈ રહ્યો હતો ત્યારે ખાલાપુર ટોલ-પ્લાઝા પાસે તેણે કાર્ડ સ્વાઇપ કર્યું હતું. તેણે કહ્યું હતું કે ‘ખાલાપુર ટોલ-પ્લાઝા પાસે મેં સાંજે ૬.૨૭ વાગ્યે ૨૩૦ રૂપિયાની ચુકવણી કરી હતી. આ ટ્રાન્ઝૅક્શન વિશે મને મેસેજ પણ તરત મળ્યો હતો, પરંતુ રાત્રે ૮.૩૧ વાગ્યે મેં મારા કાર્ડ દ્વારા ૨૦,૦૦૦ રૂપિયાની ખરીદી કરી હોવાનો મેસેજ મળ્યો. વળી એ પછી એક મિનિટમાં જ મારા ડેબિટ કાર્ડમાં ૬ વધુ ટ્રાન્ઝૅક્શન થયાં હોવાના મેસેજ આવ્યા.’
માત્ર ચાર જ મિનિટમાં ખેલ ખતમ
રાત્રે ૮.૩૪ વાગ્યા સુધીમાં તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ૮૭,૦૦૦ રૂપિયાની ઉઠાંતરી થઈ ગઈ હતી. વળી સાઇબર ક્રિમિનલ્સ માત્ર એટલેથી જ અટક્યા નહોતા. તેમણે એક વખત ૧૦૦ રૂપિયાનું તો ત્રણ વખત ૧૦-૧૦ રૂપિયાની ખરીદી કરી હતી. દર્શન પાટીલે કહ્યું હતું કે ‘૧૦૦ અને ૧૦ રૂપિયાની પણ ખરીદારી કરીને સાઇબર ક્રિમિનલે મેં ઘણી મહેનતથી ભેગા કરેલા રૂપિયાની મારા અકાઉન્ટમાંથી ઉચાપત કરી હતી. તેમણે મારા અકાઉન્ટમાં એક રૂપિયો પણ રહેવા નહોતો દીધો.’
કઈ રીતે મેળવ્યો પિન-નંબર?
દર્શન પાટીલે કહ્યું હતું કે ‘મેં મારો પિન નંબર કોઈને આપ્યો નહોતો. મેં જાતે જ કોડ નાખ્યો હતો, પરંતુ ટોલ-પ્લાઝા પર હાજર રહેલા લોકોએ છેતરપિંડી કરી હોય એવી શક્યતાને હું નકારી ન શકું. ટોલ-વિન્ડો ઊંચાઈએ હતી. વળી ઊંચાઈ પર CCTV કૅમેરા પણ લગાવેલા હતા.’
‘મિડ-ડે’ પાસે રહેલા ડૉક્યુમેન્ટ્સ મુજબ ૯ સપ્ટેમ્બરે સાંજે કાર્ડમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ દર્શન પાટીલને મળેલી ઈ-મેઇલ મુજબ ૧૧ સપ્ટેમ્બરે પોસ્ટ-ડેટેડ ટ્રાન્ઝૅક્શન થયાં છે. વળી તેને એક પણ ટ્રાન્ઝૅક્શન માટે વન ટાઇમ પાસવર્ડ (OTP) મળ્યા નહોતા. દર્શને કહ્યું હતું કે ‘મને બહુ આશ્ચર્ય થાય છે કે OTP વગર કઈ રીતે ટ્રાન્ઝૅક્શન થયાં. વળી કાર્ડ પણ મારી પાસે હતો.’
તેણે પોતાની બૅન્કનો સંપર્ક કરીને હડપસર પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
OTP વગર પણ ઉચાપત શક્ય
શહેરના સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર, સાઇબર સિક્યૉરિટી કન્સલ્ટન્ટ અને ડેટા પ્રાઇવસી પ્રોફેશનલ રિતેશ ભાટિયાએ કહ્યું હતું કે ‘જ્યારે આપણે કાર્ડ સ્વાઇપ કરવા આપીએ છીએ ત્યારે મશીનમાંથી બિલ ન આવે ત્યાં સુધી એ કાર્ડ તે વ્યક્તિ પાસે હોય છે જે તેને કાર્ડનો ફોટો લેવાનો સમય આપે છે. વળી એક વ્યક્તિ તમે મશીનમાં કયો પિન-નંબર ટાઇપ કરો છો એના પર ધ્યાન રાખે છે. એક વખત કાર્ડની વિગતો અને પિન-નંબર આવી જાય તો OTP વગર પણ એનો ઉપયોગ થઈ શકે છે. ઘણી વખત ક્રિમિનલ પિન-નંબર જાણવા માટે CCTV કૅમેરાના ફુટેજનો ઉપયોગ કરે છે. એ ઉપરાંત સ્કિમિંગ દ્વારા પણ તમામ વિગતોની ચોરી થઈ શકે છે.’