લોકોને મારવા પાક. જેવા દુશ્મનો કે ત્રાસવાદીઓની જરૂર નથી, રેલવે જ કાફી છે : પ ઓક્ટોબરે ચર્ચગેટથી કાઢશે મોરચો
રાજ ઠાકરે કહ્યું હતું કે લોકલ રેલવેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો નહીં થાય ત્યાં સુધી બુલેટ ટ્રેનની એક ઈંટ પણ મુંબઈમાં રાખવા દેવામાં આવશે નહીં. દશેરાના અભિનંદન પાઠવતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે આટલો મોટો તહેવાર છે પરંતુ આપણે ટીવી અને અખબારમાં શું જોઇ-વાંચી રહ્યાં છીએ. આ અત્યંત દુઃખદ છે. લોકોએ મને ઘટનાસ્થળે જવાનું કહ્યું, પરંતુ હું ન ગયો. તેનાથી રાહત અને બચાવ કાર્ય પ્રભાવિત થાત. ડોક્ટર, પોલીસ અને ફાયર બ્રિગેડ પોતાનું કામ કરી રહ્યાં છે અને નેતા લોકો મીડિયાને બાઇટ આપી રહ્યાં છે તેથી હું ઘટના સ્થળે ન ગયો.
તેમણે કહ્યું કે જો મોદી બુલેટ ટ્રેન ચલાવે છે તો ગુજરાતમાં ચલાવે, મુંબઇમાં નહીં. જો તેઓ ફોર્સનો ઉપયોગ કરશે તો અમારે વિચારવું પડશે કે અમારે શું કરવાનું છે. પ ઓક્ટોબરે અમે અમારી શૈલીમાં ચર્ચગેટ પર રેલવે અધિકારીઓને પૂછીશું. રેલવે અધિકારીઓ પાસે કોઇ જવાબ નથી. ઠાકરેએ કહ્યું હતું કે રેલવે કહી રહ્યું છે કે વરસાદના કારણે આવું બન્યું છે પરંતુ મુંબઈમાં પ્રથમ વખત આવો વરસાદ નથી પડયો. ભૂતકાળમાં પણ ભારે વરસાદ આવી ચૂક્યો છે. મુંબઈ લોકલના પ્રશ્નોનું લિસ્ટ રેલવેને ૫ ઓક્ટોબરની ડેડલાઈન સાથે આપ્યું છે. જો કોઈ કામગીરી નહીં થાય તો પછી અમે જોઈ લઈશું. સરકાર પર પ્રહાર કરતા ઠાકરેએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે આપણે પાકિસ્તાન જેવા દુશ્મન કે આતંકવાદીઓની જરૃર છે? આપણી રેલવે જ કાફી છે લોકોને મારવા માટે. વધુમાં તેમણે કહ્યું હતું કે સ્ટેશન બ્રિજ પરથી ગેરકાયદે બેસતા ફેરિયાઓને સમયમર્યાદામાં દૂર કરવામાં આવે. જો તેમ નહીં થાય તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પોતાની રીતે તેને દૂર કરશે. ઠાકરેએ કહ્યું કે દર વર્ષે ૧૫ હજાર લોકો રેલવે અકસ્માતમાં મોતને ભેટે છે અને તેમાં ૬ હજાર મુંબઇમાં મરે છે. કોંગ્રેસ જાય છે, ભાજપ આવે છે. કંઇ નથી બદલાયું. બહારના લોકોને નિશાના પર લેતા રાજે કહ્યું કે જ્યાં સુધી બહારના લોકોનું મુંબઇમાં આવવાનું બંધ નહીં થાય ત્યાં સુધી શહેર આ જ રીતે કાંપતુ રહેશે. રોજ હજારો લોકો મુંબઇ આવે છે અને તે તમામ લોકો પરપ્રાંતીય હોય છે. લોકોએ સમજવું પડશે કે માત્ર સરકાર બદલવાથી કંઇ થતું નથી.