Jammu and Kashmir:જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરીને એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ બાસિત અહેમદ ડારને ઠાર માર્યો છે. બાસિત પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું આ પહેલા કુલગામમાં જ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. પોલીસે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો સ્થાનિક મોસ્ટ વોન્ટેડ કમાન્ડર હોવાની આશંકા છે. હજુ સુધી આતંકીઓની ઓળખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસે જણાવ્યું કે કુલગામના રેડવાની પાઈન ગામમાં સોમવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.
આતંકવાદીઓ એક ઘરની અંદર છુપાયેલા હોવાના અહેવાલ છે. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ પહોંચી ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાત્રે અંધારાના કારણે ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. સવારે વધારાના સુરક્ષા દળો સાથે ઓપરેશન ફરી શરૂ થયું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.
જમ્મુ-કાશ્મીર પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી છે.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે,“અત્યાર સુધી, આતંકવાદ વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.” ઓળખ અને જોડાણની ખાતરી કરવામાં આવી રહી છે.” કુલગામમાં એન્કાઉન્ટર એવા સમયે થયું જ્યારે કાશ્મીરમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. શ્રીનગર સંસદીય બેઠક માટે મતદાન 13 મેના રોજ થશે, જ્યારે બારામુલ્લા અને અનંતનાગ-રાજૌરી બેઠકો માટે અનુક્રમે 20 અને 25 મેના રોજ મતદાન થશે.