બારડોલીઃ આત્મહત્યાની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે. બારડોલી પલસાણા રોડ પર મીંઢોળા નદીના પુલ પરથી 33 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. બપોરના સમયે પુલ પર બાઇક મૂકી નદીમાં ઝંપલાવ્યું હતું. કાયમી નોકરી ન મળતી
બારડોલીના ધામદોડ ગામની સરદાર વિલા સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રિતેશ હસમુખ ટેલર પલસાણા ખાતે ખાનગી મિલમાં નોકરી કરી પોતાના પરિવારમાં પત્ની, 5 વર્ષના પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રોજ રિતેશ ટેલર નોકરી પર પહોંચ્યા બાદ પત્ની ફોન કરી જાણ કરતો હતો.
આજે શનિવારના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં આવતા પત્નીએ ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતા તેની મિલમાં અને અન્ય એક સાઇટ પર પાર્ટટાઈમ નોકરી કરતો હોય ત્યાં તપાસ કરાવી તો ત્યાં પણ રિતેશ પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પરિવારજનોએ શોધખોળ કરતાં તેનું બાઇક નંબર જીજે 5 એસ.જે. 0060 બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર 53 પર મીંઢોળા નદીના પુલ પરથી મળી આવ્યું હતું.
આથી ફાયર બ્રિગેડને જાણ કરતાં બારડોલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહનો કબ્જો લીધો હતો અને તપાસ હાથ ધરી હતી. કાયમી નોકરી ન હોવાથી તેના ટેન્શનમાં આત્મહત્યા કરી હોવાનું સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જો કે હાલ કાર્યવાહી ચાલુ હોય હજી સુધી પોલીસે સૂસાઇડ નોટ જાહેર કરી નથી.
મોટર સાયકલ પર લગાવવામાં આવેલા સરદાર વિલા સોસાયટીના સ્ટિકરને કારણે મોટર સાયકલની ઓળખ થઈ હતી. જેના આધારે રોડ પરથી પસાર થતાં સંબંધીએ પરિવારજનોને જાણ કરી હતી. અને પરિવારજનોએ સ્થળ પર પહોંચી મોટર સાયકલ રિતેશની હોવાની ઓળખ કરી હતી. બાઇક પર તેની બેગ અને હેલ્મેટ મળી આવ્યા હતા.