નવસારીના જલાલપોર નજીકના અબ્રામા ગામે હિટ એન્ડ રનમાં એક વૃધ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. બુધવારની રાત્રે ઈકો કાર ચાલકે વૃધ્ધ મનુદાદાને અડફેટે ચઢાવી લગભગ 50 ફૂટ દૂર સુધી ઘસડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત મનુદાદાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. લોકોમાં નવાઈ એ વાતની છે કે 8 વર્ષ અગાઉ મોટા દીકરાનું અને ગત 4 વર્ષ પહેલા નાના દીકરાનું જે જગ્યાએ અકસ્માતમાં મોત થયું હતું તે જ જગ્યા પર બન્ને એક્સિડન્ટ બાદ વૃધ્ધનું મોત થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારે જણાવ્યું હતું કે, મનુભાઈ ચીમભાઈ હળપતિ (ઉ.વ. 70) વાંસના કરસાતા બનાવી પોતાની અને બે બે વિધવા વહુ અને એમના બાળકોનું ગુજરાન ચલાવતા હતા. બુધવારની રાત્રે રસ્તો ઓળંગતી વખતે એક ઈકો કારનો ચાલક મનુદાદાને અડફેટે લઈને 50 ફૂટ દૂર ફેંકી ગયો હતો. ઘટના બાદ લોકો દોડી આવ્યા હતા અને દાદાને નજીકની હોસ્પિટલ બાદ નવસારી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.મનુદાદાના 40-45 વર્ષના બે પુત્રો અજિત અને સંજયનું પણ આ જ ઘટના સ્થળે રોડ અકસ્માતમાં મોત નીપજ્યા હતાં. 8 વર્ષમાં આ પરિવારના બે પુત્રો અને આખરે પિતાનું પણ અકસ્માતમાં થયેલું મોત વિધાતાનો અજીબો ગરીબ લેખ હોવાનું પરિવારજનોએ વધુમાં ઉમેર્યું હતું.
Friday, May 17