નવસારીઃ પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ દરરોજ સામે આવતા જ રહે છે. પરંતુ નવસારીમાં લગ્નેત્તર સંબંધોનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પત્નીએ પતિ પાસે છૂટાછેડા માંગ્યા હતા પરંતુ પતિએ છૂટાછેડા ન આપતા પતિનો પીછો છોડાવા માટે પત્નીએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આમ પતિની હત્યાથી ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.
આ અંગે પોલીસે પત્ની સાથે હત્યામાં સામેલા પ્રેમીના મિત્રોની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા પ્રેમીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મુંબઈ રહેતી મહિલાએ પ્રેમી અને બે સાગરીત સાથે ઉભરાટ આવી પતિનું કાસળ કાઢયું.
મુંબઈના બોઈસર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય પ્રમોદ સિંહ ટેક્સટાઈલના ક્ષેત્રમાં નોકરી કરતા હતા. ત્યારે લગ્નજીવનના 14 વર્ષના ગાળા દરમિયાન પત્ની પ્રીતિસિંહને ભોજપુર, બિહારના પ્રેમી વિનોદસિંહ સાથે છેલ્લા 5 વર્ષથી આડા સંબંધો હતા. જેને લઈ પ્રેમમાં બાધારૂપ પતિ પ્રમોદનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.
પ્રમોદ બિરજા સિંહ મહારાષ્ટ્રના પાલઘર ખાતે તેમની પત્ની પ્રીતિ સિંહ અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીએ પતિ પાસે છૂટાછેડા પણ માંગ્યા હતા પરંતુ પતિ આપતો ન હતો. જેથી પત્નીએ આખો પ્લાન બનાવ્યો હતો.
15 માર્ચના રોજ પત્ની પ્રીતિસિંહ તેના પતિ પ્રમોદને ફરવા અને કપડાં ખરીદવા માટે સુરત લાવી હતી. જ્યાં પ્લાન મુજબ પ્રેમી વિનોદના સગા અને સુરતના પાલમાં રહેતા રિક્ષાવાળા ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગી અને અનિકેત ઉર્ફે વિકી સાથે ઉભરાટ દરિયા કિનારે ફરવા ગયા હતા.
ઉભરાટ પાસેના નિમલાઈ ગામના નિર્જન વિસ્તારમાં રસ્તામાં બાથરૂમ માટે રિક્ષામાંથી ઉતરેલા પ્રમોદસિંહ પર અચાનક હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પત્નીએ પણ લાકડા વહે હુમલો કર્યો અને પ્રમોદનું મોઢું પાણીમાં નાખી તેનું મોત ન થાય ત્યાં સુધી દબાવી રાખ્યો હતો.