ગુજરાત રાજ્યમાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
છેલ્લા કેટલાય દિવસથી ધોધમાર વરસાદ વરસતા છતાં આયોજકો થોડા ચિંતિત તો થયા છે પરંતુ તેમના જુસ્સામાં કમી આવી નથી..
ગુજરાત રાજ્યમાં રાજયકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી છોટા ઉદેપુર જિલ્લા ખાતે થવાની છે. વડોદરા જિલ્લાની નજીક અને મધ્ય પ્રદેશની રાજકીય સીમા અને છ તાલુકા ધરાવતું છોટા ઉદેપુર રાઠવા રાજવીઓની ગઢ કહેવાતું. આ છોટા ઉદેપુર જિલ્લાને 26 જાન્યુઆરી 2013માં વડોદરા જિલ્લામાંથી અલગ કરવામા આવ્યું હતું. અહિયાની આદિવાસી સંસ્કૃતિનો અંદાજ ત્યાંના મહેલો અને રાઠવા ભીતચિત્રો વડે લગાવી શકાય. આ જિલ્લાની કુલ વસ્તી 2011ની જનગણના આધારે 961190 છે.
છોટાઉદેપુર તાલુકો છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીંયા 73માં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ભાગ રૂપે અમદાવાદથી અશ્વદળ, સ્વાનદળ, એસઆરપી પોલીસની ટુકડીઓ, બાઇક સ્ટંટ, પોલિસ બેન્ડ વગેરે થઈને 1000થી વધારે પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચુક્યો છે.
છોટાઉદેપુરના ગ્રાઉન્ડમાં આ 73મી સ્વતંત્રતા દિવસની પરેડ માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાવાની હોવાથી સુરક્ષાની વ્યવસ્થા પણ એકદમ ચુસ્ત રાખવામાં આવી છે. આ દિવસે આદિવાસી સંસ્કૃતિ દર્શાવતા વિવિધ કલાકૃતિઓ અને રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.
સ્વતંત્રતા દિવસના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ પૂર્ણ થશે. પરંતુ છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ભયંકર વરસાદ વરસતો હોવાથી આ આયોજનને અસર પહોંચી શકે છે.