પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે રાજ્યના લોકો માટે 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કરશે.1 જુલાઈથી પંજાબના લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે. AAP સરકારનો એક મહિનો પૂરો થવા પર સીએમ માન આજે તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકાર શનિવારે જ પોતાના શાસનનો એક મહિનો પૂર્ણ કરશે. આ પહેલા ગુરુવારે જાલંધરમાં મુખ્યમંત્રી ભગવંત માને 16 એપ્રિલે પંજાબના લોકોને એક મોટી ખુશખબર આપવાની જાહેરાત કરી છે.
પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના પર મુખ્યમંત્રી ભગવંત માન મંગળવારે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. આના એક દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પાવર સેક્રેટરી દિલીપ કુમાર અને પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ના સીએમડી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ચર્ચા કરી હતી.
29 જૂન, 2021 ના રોજ, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે 300 યુનિટ મફત વીજળી તેમજ ઘરના જૂના બિલની બાકી રકમ માફ કરવામાં આવશે. રાજ્ય પહેલેથી જ કૃષિ ક્ષેત્રને મફત વીજળી અને તમામ અનુસૂચિત જાતિઓ, પછાત જાતિઓ અને ગરીબી રેખા હેઠળના પરિવારોને 200 યુનિટ મફત પ્રદાન કરે છે (2016 માં શરૂ કરાયેલ યોજના).
આ સિવાય સરકારે 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું પણ વચન આપ્યું છે. પંજાબમાં વીજળીની માંગ લગભગ 8,000 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. ડાંગરના પાકની વાવણી દરમિયાન માંગ વધીને લગભગ 15,000 મેગાવોટ થાય છે.