કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ યથાવત છે. ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે, યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતાઓ ભાજપમાં જોડાશે. તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર તેમની સાથે સાથે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતાઓ જેમ કે, યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી કેસરીયો કરશે.
આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર એનએસયુઆઈના પ્રદેશ ઉપપ્રમુખ પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર ભાજપમાં જોડાશે. ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારમ ભાવરી પણ કેસરીયો કરશે. 2 હજાર જેટલા કાર્યકરો કેસરીયો ધારણ કરશે. આવતી કાલે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે.યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ 6 પાનાનો પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ છોડવાના કારણ સાથે આકરા પ્રહાર પણ કર્યા હતા. એક બાજુ કોંગ્રેસમાં જૂથવાદ છે ત્યારે જૂથવાદને ખાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી કોંગ્રેસની સ્થિતિ છે. કેમ કે, એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.