ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતા. તે છતાં પ્રદેશ પક્ષના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો.
જો રાજકીય નિષ્ણાતોનું માનીએ તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ફરી સક્રિય થઈ ગઈ છે. સંગઠનને મજબૂત કરવા અને આગળના કાર્યક્રમો માટે મંગળવારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે. કેજરીવાલે એક સમયે ગુજરાતમાં સત્તા પરિવર્તનનું સપનું જોયું હતું અને જાહેર મંચ પરથી અનેક બાંહેધરી આપી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેની કોઈ અસર જોવા મળી નથી. પરંતુ હવે પાર્ટીએ ફરીથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ તેઓ લડશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મંગળવારે મળેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. તેમજ સંગઠનને મજબુત બનાવવા શું કરવું જોઈએ તેની માહિતી લીધી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું કે આ બેઠક આમ આદમી પાર્ટીના વધુ કાર્યક્રમોની યોજના બનાવવા અને સંગઠનને મજબૂત કરવા માટે યોજાઈ હતી. તેમણે ટ્વિટર પર મીટિંગની કેટલીક તસવીરો પણ ટ્વીટ કરી છે.
હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વિસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને દેડિયાપાડા બેઠકો જીતી છે. દેડિયાપાડા બેઠક પરથી જીતેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે એક પછી એક મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેમણે વહીવટીતંત્રને પાણી અને વીજળી સહિત અન્ય મુદ્દાઓ પર લોકોને સજાગ કરીને સુવિધાઓ પ્રદાન કરવા જણાવ્યું છે.