અમદાવાદ : અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકો આ રોગને કારણે મોતને ભેટ્યા છે. આ દરમિયાન ભાજપના બક્ષીપંચના નેતા કેતન પ્રજાપતિનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
અમદાવાદના હાથીજણમાં આવેલા વિવેકાનંદ નગરમાં રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી એવા ભાજપના બક્ષીપંચના નેતા તેમજ પક્ષના અનેક હોદ્દા પર રહી ચૂકેલા 52 વર્ષીય કેતન પ્રજાપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરિમયાન આજે (8 મે) વહેલી સવારે તેમનું મોત નીપજ્યું છે.
રામોલ – હાથીજણ વોર્ડમાંથી ભાજપે એક કર્મનિષ્ઠ કાર્યકર કેતન પ્રજાપતિને કોરોના વાયરસના કહેરમાં ગુમાવતા ગુજરાત રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીત વોર્ડના હોદ્દેદારો અને ભાજપી કાર્યકરોએ શોકની સાથે સંવેદના વ્યક્ત કરી હતી.