નવી દિલ્હી : પરપ્રાંતિય મજૂરોને લઈને પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પરપ્રાંતિય મજૂરો માટે દોડતી મજૂર ટ્રેનોને મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના પરપ્રાંતિય કામદારો સાથે “અન્યાય” કરવામાં આવી રહ્યો છે.
શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકાર પરપ્રાંતિય મજૂરોને લઇને આવતી ટ્રેનોને રાજ્ય સુધી પહોંચવા દેતી નથી, જેનાથી કામદારો માટે વધુ મુશ્કેલી ઉભી થઈ શકે છે. દેશના જુદા જુદા ભાગોથી પરપ્રાંતિય મજૂરોને વિવિધ સ્થળો પર લઈ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનોનો સંદર્ભ આપતાં ગૃહમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે કેન્દ્રએ બે લાખથી વધુ પરપ્રાંતિય મજૂરને ઘરે પહોંચાડવાની સુવિધા આપી છે.
શાહે લખ્યું છે કે, પશ્ચિમ બંગાળના પરપ્રાંતિય કામદારો પણ ઘરે પહોંચવા માટે ચિંતિત છે અને કેન્દ્ર સરકાર ટ્રેન સેવાઓ પણ આપી રહી છે. પરંતુ અમને પશ્ચિમ બંગાળ તરફથી અપેક્ષિત સહયોગ મળી રહ્યો નથી. અહીં સરકાર ટ્રેનોને પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની મંજૂરી આપી રહી નથી. પશ્ચિમ બંગાળના પરપ્રાંતિય મજૂરો પર આ અન્યાય છે. આ તેમના માટે વધુ મુશ્કેલી ઉભી કરશે.