કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બિહારમાં. તેઓ બે દિવસ પૂર્ણિયા અને કિશનગંજ જિલ્લામાં રોકાશે. અમિત શાહ શુક્રવારે પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં જનસભાને સંબોધશે, ત્યારબાદ કિશનગંજ જશે. મહાગઠબંધન સરકારની રચના બાદ અમિત શાહની બિહારની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે શાહની ગતિવિધિઓ પર નજર રાખવા કહ્યું છે.
મળતી માહિતી મુજબ, અમિત શાહ શુક્રવારે પૂર્ણિયાના ચુનાપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ પૂર્ણિયામાં રંગભૂમિ મેદાન જશે અને જનસભાને સંબોધશે. આ પછી, તેઓ ચુનાપુર એરપોર્ટ પર પાછા આવશે અને હેલિકોપ્ટર દ્વારા કિશનગંજ માટે રવાના થશે.
અમિત શાહ કિશનગંજમાં માતા ગુજરી યુનિવર્સિટીમાં રોકાશે, જ્યાં તેઓ સાંજે 4 થી 9 વાગ્યા સુધી સીમાંચલ વિસ્તારના બીજેપી નેતાઓ સાથે બેઠક કરશે. શાહ ત્યાં ડિનર લેશે. શનિવારે કિશનગંજમાં સરકારી કાર્યક્રમ અને પાર્ટીની પ્રવૃત્તિઓમાં હાજરી આપ્યા બાદ તેઓ સાંજે દિલ્હી જવા રવાના થશે.
બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર આવી રહ્યા છે. આ પહેલા તેઓ 31 જુલાઈના રોજ બિહાર આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમની મુલાકાત સીમાંચલને અડીને આવેલા પશ્ચિમ બંગાળની એક ડઝનથી વધુ વિધાનસભા બેઠકોને અસર કરશે.