2015થી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. હાર્દિક પટેલ સહિત અનેક યુવા ચહેરાઓ ગુજરાતના રાજકીય ફલક પર જોવા મળ્યા. પાટીદાર અનામત આંદોલન સમગ્ર રીતે ગુજરાતની ભાજપ સરકાર સામે મોટામાં મોટું આંદોલન બનીને રહ્યું છે. ભાજપ દ્વારા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે તેમાં ઝંપલાવ્યું હતું અને કપિલ સિબ્બલને મોકલી અનામતની ફોર્મ્યુલા રજૂ કરી હતી.
ગુજરાત કોંગ્રેસમાં તે વખતે રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રભારી હતા અને પાટીદાર અનામત આપી શકાય છે તેવી જાહેરાત તેમણે અનેક વખત કરી છે. હવે જ્યારે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને ગુર્જર સમાજ દ્વારા અનામત આંદોલનનું રણશિંગું ફૂંકી દેવામાં આવ્યું છે ત્યારે ગેહલોત સરકાર ફિક્સમાં મૂકાઈ ગઈ હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યું છે.
અશોક ગેહલોત અને કપિલ સિબ્બલે બંધારણમાં સુધારો કરી અનામત આપી શકાય છે તેવા મતલબની ફોર્મ્યુલા પાટીદાર અનામત આંદોલનકારીઓ સમક્ષ રજૂ કરી હતી. ખાસ કરીને હાર્દિક પટેલ અને વખતે હાર્દિક પટેલની સાથે ચાલતા દિનેશ બાંભણીયા, વરણ પટેલ તેમજ અલ્પેશ કથીરીયા સહિતના આંદોલનકારીઓએ ફોર્મ્યુલાનો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરે તેવી માંગ કરી હતી.
પાટીદાર અનામત આંદોલનકારીઓની માંગને અનુસરીને કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આપવાનું ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું. અશોક ગેહલોતે પણ આ ફોર્મ્યુલામાં સંમતિ દર્શાવી હતી અને પાટીદારોએ કોંગ્રેસને ખભે ઉંચકીને ન ધારેલી જીત અપાવી ભાજપને ઓક્સિજન પર પહોંચાડી દીધો હતો.
રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત ગુર્જર સમાજની પાંચ ટકાની અનામતની માંગ અંગે હવે કેવું વલણ અપનાવે છે તે મહત્વનું બની રહેશે. અશોક ગેહલોત ઘર આંગણે ફરી ભડકેલી અનામતની આગથી ફિક્સમાં મૂકાઈ જવા પામ્યા છે. ગુર્જર સમાજે ગેહલોત સરકારને લોકસભાની ચૂંટણી ટાણે અનામતની માંગ સાથે આંદોલન શરૂ કરીને ધેરી લીધી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.