સોમવારે ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે હાલમાં 2018ના કથિત બળાત્કાર કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને હુસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધવા અને ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ બીજેપી નેતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આજે આ જ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ કેસની સુનાવણી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી મુલતવી રાખી છે.
આ મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે બંને પક્ષકારોને નોટિસ પાઠવતા કહ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ આ મામલાને ધ્યાનમાં લેવાની જરૂર છે. અમે નોટિસ જારી કરીશું અને તમામ કાર્યવાહી પર સ્ટે આપવાનો આદેશ આપીશું.”
હવે આ મામલે આગામી મહિને સુનાવણી થશે. વધુમાં, સુપ્રીમ કોર્ટે ફરિયાદીને પોલીસનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી છે, જે જરૂર પડ્યે સુરક્ષા પૂરી પાડવા માટે બંધાયેલા રહેશે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે આરોપીના કહેવાથી તેણીને ધમકી આપવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે ફરિયાદી પક્ષને તેનો વાંધો દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે.
સુનાવણી દરમિયાન, હુસૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ તેમની અરજીમાં કહ્યું કે ’31 જાન્યુઆરી, 2018ના રોજ પીડિત મહિલા છૂટાછેડાનો કેસ લઈને શાહનવાઝ હુસૈન પાસે આવી હતી અને પોતાની વ્યથા જણાવી હતી. એનાથી વધુ કંઈ થયું નહીં. અમે આ મામલે 482 હેઠળ રાહત ઈચ્છીએ છીએ.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ રીતે, કોઈ ઉચ્ચ અધિકારીઓ પર આરોપો લગાવી શકે છે અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.”
તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં દિલ્હીની એક મહિલાએ શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવતા નીચલી કોર્ટમાં FIR નોંધવાની માંગ કરી હતી. આ પછી, 7 જુલાઈ, 2018 ના રોજ, મેજિસ્ટ્રેટ કોર્ટે શાહનવાઝ હુસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો. હુસૈને આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તેઓ હાઈકોર્ટ ગયા પરંતુ ત્યાં પણ તેમને કોઈ રાહત ન મળી. હવે તેમને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે, પરંતુ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં કોર્ટ તેની સુનાવણી કરશે, જેના પર તમામની નજર ટકેલી છે.