રાજકારણમાં રસ ધરાવતા તમામ લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે અમિત શાહ રાજ્યસભાના સાંસદ હોવા છતાં શા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે? ભાજપના એક વખતના દિગ્ગજ નેતા અડવાણીને પડતા મૂકી અમિત શાહે કરેલી ઉમેવારી પાછળ ભાજપની પાટીદારવાળી ગણતરી નથી બલ્કે લોકસભાના પરિણામોના અનુસંધાનમાં પાણી પહેલાં પાળ બાંધવાની ગણતરી છે.
ભાજપના વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષો જો બહુમતિ હાંસલ નહીં કરે તો એવા સંજોગોમાં શું કરી શકાય? વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને હાલની સ્થિતિમાં જો ભાજપને બહુમતિ નહીં મળી તો વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવે તો એવા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા તરીકે કોને મૂકવા?
સંઘના વર્તુળો જણાવી રહ્યા છે કે રખેને કોઈ સંજોગોમાં ભાજપ-સાથી પક્ષોને બહુમતિ નહીં મળી તો સંઘની ઈચ્છા છે કે લોકસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નીતિન ગડકરીને બેસાડવામાં આવે પરંતુ પીએમ મોદી અને અમિત શાહ સહિતના ભાજપના નેતાઓની ગણતરી એવી છે કે વિરોધ પક્ષના નેતા તરીકે અમિત શાહને બેસાડવામાં આવે. ગાંધીનગરના લોકો વિરોધ પક્ષના નેતા માટે મતદાન કરશે જ્યારે ભાજપને બહુમતિ નહીં મળી તો વિપરીત પરિણામોની શક્યતા અનુસાર વારણસીનાં લોકો નરેન્દ્ર મોદી રૂપે સંસદ સભ્યને ચૂંટવાના છે.
ભાજપના પ્લાન બીની હકીકતમાં જો અને તોની શક્યતા છે. જો બહુમતિ મળી તો સીધી વાત છે કે નરેન્દ્ર મોદી જ પુન:સત્તારૂઢ થવાના છે અને અમિત શાહ કાં તો રાજ્યસભા છોડશે અથવા લોકસભાની સીટ ખાલી કરશે. બહુમતિ નહીં મળવાના અંદેશા વચ્ચે અમિત શાહની ગાંધીનગરની ઉમેદવારીને આ રીતે પણ જોવામાં આવી રહી છે.