લોકસભા ચૂંટણીની સાથે સાથે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચાર બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે બે પાટીદાર, એક કોળી અને એક આહિરને ટીકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ચારે-ચાર બેઠક પર પાટીદારને ટિકિટ આપી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચારેય પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, રાઘવજી પટેલ, આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવિયાની ટિકિટ કાપી છે. આમ, ભાજપે તમામ ચાર બેઠકો પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે, જેને લઇ ભાજપના સ્થાનિક રાજકારણમાં આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે, તો બીજીબાજુ, કોંગ્રેસે વિધાનસભા પેટાચૂંટણીમાં તમામ ઉમેદવારો પાટીદાર ઉતાર્યા છે.
આ પેટાચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા માણાવદર બેઠકની ચાલી રહી છે, કારણ કે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા આ બેઠક ખાલી પડી છે. ભાજપે આ બેઠક પર ફરી એકવાર આહિર સમાજમાંથી આવતા જવાહર ચાવડાને જ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રસે તેની સામે પાટીદાર સમાજના અરવિંદ લાડાણીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક રૂપાણી સરકાર માટે કસોટીરૂપ છે કારણ કે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડા હાલ કેબિનેટ મંત્રી છે. માણાવદરમાં એનસીપીએ પાટીદાર અનામત આંદોલનનનો ચહેરો રહેલા રેશ્મા પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી છે. જેની પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા વલ્લભ ધારવિયાને બદલે રાઘવજી પટેલને ટિકિટ આપી છે. રાઘવજી પટેલ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા છે અને આ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં વલ્લભ ધારવિયા સામે જ હારી ગયા હતા. આમ ભાજપે રાઘવજીને હરાવનારા ધારવિયાને પક્ષમાં લઈ ટિકિટ કાપી નાંખી છે. જ્યારે કોંગ્રેસે તેની સામે જયંતી સભાયાને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઉંઝા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના આશા પટેલ રાજીનામું ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ રહી છે.
ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આશા પટેલને જ ભારે વિરોધ હોવા છતાં ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે તેની સામે કમુ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા 2017માં વિધાનસભા ચૂંટણી હારેલા નારણ પટેલ ભાજપથી નારાજ થયા હતા. એટલું જ નહી, નારણ પટેલના સમર્થકોએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચીને આશા પટેલને ટિકિટ નહી આપવા માટે દેખાવો કર્યા હતાં. જોકે, ભાજપે તેમની રજૂઆત ફગાવી આશા પટેલને જ ટિકિટ આપી હતી. તો, ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી સિંચાઈ કૌભાંડમાં જેલની હવા ખાઈ ચૂકેલા કોંગ્રેસના પરસોત્તમ સાબરિયા રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે આ બેઠક પરથી કોળી સમાજમાંથી આવતા પરસોત્તમ સાબરિયાને જ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે તેની સામે દિનેશ પટેલને ટિકિટ આપી છે.
લોકસભાની ચૂંટણી સાથે ચાર વિધાનસભાની પેટાચૂંટણી પણ મહત્વની બની રહેવાની છે. ખાસ કરીને જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને આશા પટેલ ગુજરાત વિધાનસભામાં કમબેક કરશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.