દાયકાઓ પછી ગુજરાતમાં કોંગ્રેસની સેન્ટ્રલ વર્કીંગ કમીટીની મીટીંગ મળી છે. સોનિગાંધી, મનમોહનસિંઘ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી. ચિદમ્બરમ, અહેમદ પટેલ, અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે, શકિતસિંહ ગોહિલ, ગુલાબ નબી આઝાદ, અર્જુન મોઢવાડીયા વગેરે નેતાઓ સાબરમતી ખાતે ગાંધી આશ્રમની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહયા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. રાહુલ, સોનિયા ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ આશ્રમની મુલાકાત લઈને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આશ્રમની વિઝિટર્સ બુકમાં સંદેશ પણ લખ્યો હતો.
સોનિયા ગાંધીએ વિઝિટર્સ બૂકમાં લખ્યું કે, “મારા માટે આ મ્યુઝિયમની મુલાકાત લેવી ખૂબ જ પ્રેરણાદાયી છે. તેમના (મહાત્મા ગાંધી) જીવન અને બલિદાનથી આપણને બધાને પ્રેરણા મળે છે.”
ગાંધી આશ્રમની વિઝિટર્સ બૂકમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, “આ ખૂબ જ પ્રેરણાદાયી જગ્યા છે. આપણા નેતાઓના જુવાળને જીવતો રાખવા માટે ખૂબ ખૂબ આભાર. આશ્રમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
માંગરોળના પૂર્વ કોંગ્રી ધારાસભ્ય, પૂર્વ કેબીનેટ પ્રધાન અને પૂર્વ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રિકાબેન ચુડાસમાએ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીનું અભિવાદન કર્યુ હતું.
ગાંધીનગર ખાતે મળેલી સીડબ્લ્યૂસીની બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવિટર પર લખ્યું હતું કે, “દાંડી માર્ચની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદ ખાતે ભાજપ અને આરએસએસની ફાંસીવાદ, ભાગલાવાદી, ધિક્કાર અને ગુસ્સાની વિચારધારાને સમાપ્ત કરવા માટે CWCની બેઠક મળી છે. કોઈ પણ બલિદાન અને પ્રયાસ નાનો ન હોઈ શકે. આવી રીતે આ યુદ્ધ જીતી શકાશે.”