પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ જોઈન કર્યા બાદ ગુજરાતના અમદાવાદ ખાતે સર્વ પ્રથમ જાહેરસભાને સંબોધન કર્યું હતું. પ્રિયંકાએ સભાને સંબોધન કરતાં કહ્યું કે લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના કારણે તેઓ દુખી ચે. મોદી સરકારે યુવાનોને નોકરી આપવાનો વાયદો પૂર્ણ કર્યો નથી. લોકોને વિભાજિત કરવામાં આવી રહ્યા છે. નફરત ફેલાવવામાં આવી રહી છે અને સાચા મુદ્દાની વાત સરકાર કરતી નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મનમાં વિચાર્યું હતું કે આજે મને ભાષણ આપવાની જરૂર પડશે નહીં. પરંતુ હું ભાષણ નહીં આપું, બે શબ્દો કહેવા માંગુ છું જે મારા દિલમાં છે. પ્રથમ વખત ગુજરાત આવી છું અને પહેલીવાર ગાંધી આશ્રમમાં જવાનું થયું. ગાંધી આશ્રમથી મહાત્મા ગાંધીએ આઝાદી માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. એવું લાગ્યું કે આંસુ આવી જશે. કારણ કે દેશભક્તો અંગે વિચાર આવ્યો જેમણે આઝાદી માટે સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યા. તેમના બલિદાનોએ દેશનો પાયો નાંખ્યો છે. ત્યાં બેસતા ચોક્કસપણે લાગ્યું કે દેશ પ્રેમ અને સદ્દભાવનાના આધારે બન્યો છે.
તેમણે કહ્યું કે આજે દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી દુખ થાય છે. હું દિલથી કહેવા માંગુ છું કે જાગૃત બનો તો એનાથી મોટી કોઈ દેશભક્તિ નથી. બધાએ જાગૃત બનવાની જરૂર છે. તમારી જાગૃત્તા એક હથિયાર છે, જેનાથી કોઈને ઈજા થતી નથી. પણ તે મજબૂતી આપે છે.
તેમણે કહ્યું કે ચૂંટણી આવી છે અને વિચાર કરવો પડશે કે આપણે કેવા ભવિષ્યને પસંદ કરવો છે. ચૂંટણીમાં નિરર્થક મુદ્દા નહીં ઉભા થવા જોઈએ. મહત્વના મુદ્દા છે ખેડુતો, નોકરી, મહિલાઓની સુરક્ષા. આ ચૂંટણીના મુદ્દા છે. તમારી જાગૃત્તા તમને મુશક્લીઓમાંથી છૂટકારો અપાવશે. જે લોકો તમારી સામે મોટી મોટી ડિંગો હાંકે છે, વાયદા કરે છે તેમને પૂછો કે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો તેનું શું થયું?
પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)એ કહ્યું કે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવી જવાના હતા તે ક્યાં છે. મહિલાઓની સુરક્ષાની વાતો કરતા હતા તે અંગે કોઈએ કશું પૂછ્યું છે. આવનારા બે મહિનામાં તમારી સામે અનેક મુદ્દા ઉભા કરાશે, પરંતુ જાગૃત્તા દાખવી સમજવું પડશે કે ક્યા મુદ્દાને માનવો અને ક્યાં મુદ્દાને નહીં માનવો. અહીંથી જ ગાંધીજીએ પ્રેમ, અહિંસાનો અવાજ બુલંદ કર્યો હતો. તેમને પૂછો કે દેશનો વ્યવહાર કેવો છે. આ દેશના વ્યવહારમાં નફરતની હવાને પ્રેમ અને કરુણામાં બદલી શકાય છે. આવનાર સમયમાં યોગ્ય નિર્ણય કરો અને સાચા મુદ્દા ઉઠાવો. આ દેશ લોકોનો છે અને લોકોએ જ દેશને બનાવ્યો છે. આ દેશ ખેડુતોનો છે, નવયુવાનો છે.