નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી કોરોના સંકટમાં ફસાયેલા લોકો માટે મોદી સરકાર વિરુદ્ધ 28 મેના રોજ મોટું ઓનલાઇન અભિયાન ચલાવશે. આ અભિયાનમાં કોંગ્રેસ આવકવેરાની બહારના તમામ પરિવારોને 10,000 રૂપિયા રોકડ આપવા કેન્દ્ર સરકાર પાસે માંગ કરશે. જણાવી દઈએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)માં ગરીબોના ખાતામાં રૂ .7,500 ની રોકડ આપવા માંગ કરી હતી.
ન્યાય યોજના લાગુ કરવા માંગ ઉભી કરી
કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની તાજેતરની બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે મોદી સરકારના 20 લાખ કરોડના પેકેજને જનતા માટે ક્રૂર મજાક ગણાવી હતી. 21 મેના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી પર છત્તીસગઢમાં ન્યાય યોજનાની શરૂઆત કરતી વખતે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે પણ ગરીબો માટે ન્યાય યોજના શરૂ કરવી જોઈએ.