રાજ્યમાં છ મહિનાઓની અંદર વિધાનસભાની ચુંટણીઓ આવે છે, નેતાઓ પોતાના રાફડામાંથી બહાર નીકળીને તૈયારીઓ કરવા લાગ્યા છે, તેવા સમયે પ્રજાને પરેશાન કરતા પ્રશ્નો પર ધ્યાન આપવાના બદલે બિનજરૂરી અને ગેરમાર્ગે દોરતા મુદ્દાઓ વિશે ચર્ચાઓ થાય તે ઘાતક છે.
છેલ્લા બે મહિનાથી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને તંત્ર સામે સવાલો ઉભા કરાઇ રહ્યાં છે, જેના કારણે તંત્ર પણ પીછેહઠ કરતું હોય તેવું દેખાઈ આવે છે.
ગુજરાત આપ પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે,
ભાજપ-કોંગ્રેસના નેતાઓની પોતાની સ્કૂલો બને તેના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે,
ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે અને સરકારી સ્કૂલો બંધ થતી રહી છે.
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ડોનેશન લેવાની પ્રથા બંધ કરવામાં આવે, અને શાળાઓ દ્વારા અમુક તુઘલકી નિયમોને લઈને વાલીઓ પર બોજ મૂકવામાં ન આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ખરેખર તો શિક્ષણ જેવા પાયાના મુદ્દાઓ ચુંટણી સમયે ઉઠાવવામાં આવે છે તે ગુજરાતની રાજનીતિ માટે સારી બાબત છે, પણ તેનો ઉપયોગ માત્ર રાજકારણ પૂરતો જ કરવા માટે થતો હોય તો વધુ ઘાતક પણ બની શકે છે.
છેલ્લા પાંચ વર્ષથી શાળાઓમાં ફી વધારાને લઈને ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં વિરોધો થયા છે, તેમ છતાં શાળાઓમાં ફી વધારો તંત્ર રોકી શક્યું નથી, અને બાળકોની શાળા ફી ઉત્તરોઉત્તર વધતી જ આવી છે,
તેવા સમયે આમ આદમી પાર્ટીને સારી રીતે ખબર છે કે આ મુદ્દો મહત્વનો છે અને સાથે શિક્ષણની વાતને લઈને પ્રજા સામે જવાથી ગુંગળાઈને બેસેલી પ્રજા તેને હાથોહાથ જીલી લેશે.
આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરેલા શિક્ષણ ઉપરના કામોને લઈને ગુજરાતના લોકો સમક્ષ આવી છે, જ્યારે 27 વર્ષથી સત્તા પર બેસેલી ભાજપ તેના જ ગઢમાં શિક્ષણના મુદ્દે પાછળ પડતી હોય તેવું દેખાય છે.