Gandhinagar News today : ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ : કોરોના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, મૃતકોને ન્યાય અપાવવાના નારા સાથે વિધાનસભામાંથી વોકઆઉટ
આજથી ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. ગૃહમાં ઉપાધ્યક્ષ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેઠાભાઈ આહિર ઉપાધ્યક્ષ બન્યાં છે. ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને નાયબ મુખ્ય દંડક બનાવવામાં આવ્યાં છે.ગૃહમાં નવ નિયુક્ત મહિલા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની નિમણૂંક અંગે મુખ્યમંત્રી, વિપક્ષી નેતા અને ત્યાર બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રતિભાવ આપી રહ્યાં હતાં ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગૃહમાં એન્ટ્રી થતાં ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના સભ્યોએ આવો.. નીતિન કાકા આવો.. તેવો ઉલ્લેખ કરતાં અન્ય સભ્યોએ પણ નીતિન પટેલની એન્ટ્રીને પાટલી થપથપાવી વધાવી લીધા હતાં.
બીજી બાજુ કોંગ્રેસ કોવિડ સારવાર, મૃતકોને સહાય, વાવાઝોડા,અતિવૃષ્ટિ સહિતના મુદ્દે ગૃહમાં વિરોધ વ્યક્ત કરશે.વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની પસંદગી નક્કી થઈ છે,જોગવાઈ પ્રમાણે ગૃહ શરૂ થાય એટલે સૌ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકશે અને પછી સર્વાનુમતે તેમની વરણી થશે.
ધારાસભ્ય ડૉ નીમાબેન આચાર્ય બે દિવસીય સત્ર દરમિયાન ગૃહમાં ચાર વિધેયક લવાશે
બે દિવસીય સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 અને જીએસટી સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક, 2021 અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક એમ 4 વિધેયક લવાશે. આ ચાર વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ છે. આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.
કોંગ્રેસ ગૃહની શરૂઆતમાં કોવિડ-19ના મૃતકોને સામૂહિક પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ લાવશે. આ પછી કોવિડ સારવારમાં બેદરકારી, કોવિડ મૃતકો પરિવારજનોને 4 લાખની સહાય, તાઉતે વાવાઝોડાની સહાય, જામનગર સહિતના 4 જિલ્લામાં અતિવૃષ્ટને કારણે નુકસાનીમાં સહાય, મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ ઉગ્ર રજૂઆતો કરશે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
જોકે સમગ્ર સત્રમાં જૂના રાજકીય જોગીઓ (પૂર્વમંત્રીઓ) નવા મુખ્યમંત્રી અને તેના મંત્રી મંડળને સાથે રાખી બે દિવસનું આ સત્ર કેવા સહયોગથી પસાર કરે છે? અને સત્ર દરમિયાન સરકારના પૂર્વ મંત્રીઓ વિધાનસભા ગૃહમાં કેટલી હાજરી આપશે તેવા તર્ક ઉપસ્થિત થયા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં વ્હીપ આપી સરકારના સપોર્ટમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.
વિધાનસભામાં હાલ વિપક્ષ કોંગ્રેસ પાસે 65 સભ્યોનું સંખ્યાબળ ઉપલબ્ધ છે. જેની સામે ભાજપ પાસે 112 સભ્યો ઉપલબ્ધ છે. ત્યારે સ્વાભાવિક રીતે ઉપાધ્યક્ષપદમાં પણ સત્તા પક્ષનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે પંચમહાલ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આદિવાસી નેતા ડો.અનિલ જોષીયારાની પસંદગી કરી છે.
ગુજરાત સરકારમાં ધરખમ ફેરફારો સાથે આખી સરકાર જ નવી બનાવવામાં આવી છે, જ્યારે જૂની સરકાર અને સિનિયર મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે, ખાસ કરીને વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પૂર્વ મુખ્યમંત્રી સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી અપમાન જનક સ્થિતિમાં મુકાવવું ના પડે અને તેમનું માન સમ્માન જળવાય તે માટે વિધાનસભામાં નવી સરકારની પડખેની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રીઓને તો પાછળની લાઈનમાં જ બેસવું પડશે.