જૂનાગઢ ભાજપમાં પાછલા કેટલાક વખતથી ચાલી રહેલા ડખામાં આજે સમાધાન કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ રાજેશ ચૂડાસમા સાથે સમાધાન કરી લેતા લોકસભા અને વિધાનસભાની બેઠક માટે ભાજપને જરૂરથી હાશકારો થયો હશે. સમાધાન કરવા પાછળ ભાજપ હાઈકમાન્ડ દ્વાર નો-રિપીટેશન ફોર્મ્યુલા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
દિનુ સોલંકીએ જાહેર કર્યું છે કે રાજેશ ચૂડાસમાને જીતાડીને જંપીશ. રાજેશ ચૂડાસમાની ટીકીટ કપાઈ જવાની શક્યતા હતી. દિનુ સોલંકી સહિતના અનેક નેતાઓ દ્વારા રાજેશ ચૂડાસમાની કાર્યપદ્વતિને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો હતો અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ રાજકીય ખટરાગની નુકશાનકારક અસર પણ જોવા મળી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા અને ટીકીટ માટે રાજેશ ચૂડાસમા માટે મામલો કઠીન બની રહ્યો હતો ત્યારે દિનુ સોલંકી સાથે સમાધાન કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આખરે દિનુ સોલંકીએ નમતું જોખીને રાજેશ ચૂડાસમા સાથે સમાધાન કરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સમાધાનમાં દિનુ સોલંકીને કશું મળ્યું નથી પણ તેમણે રાજેશ ચુડાસમાને જીતાડવાના પ્રણ લઈ લીધા છે. જ્યારે તાલાલા વિધાનસભાની ચૂંટણીમાં જશા બારડ માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. જશા બારડ સહિત રાજેશ ચૂડાસમા, દિનુ સોલંકીએ હાથ મિલાવતા ભાજપના કાર્યકરોએ કોડીનારમાં મોટાપાયા પર આતશબાજી કરી હતી.